ઘટના@સરસ્વતી: નજીવી બાબતે ગાળાગાળી કરી ખેડૂતને ગડદાપાટુનો માર માર્યો, 2 વિરૂધ્ધ FIR
અટલ સમાચાર ડોટ કોમ, સરસ્વતી
સરસ્વતી તાલુકામાં નજીવી બાબતે ઇસમે ખેડૂતને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે ચારો લેવા ગયેલ ખેડૂત દંપતિ ઘાસચારો કાપી રહ્યો હતો. આ દરમ્યાન તેમના ખેતરમાંથી ઇસમ ટ્રેક્ટર લઇ નિકળતાં ખેડૂતે કહેલ કે, આવન-જાવન માટે દસેક ફૂટના રસ્તેથી જવાને બદલે તમે મારો પાક બગાડી ખેતરમાંથી કેમ નીકળો છો ? જેથી ઇસમે ઉશ્કેરાઇ જઇ ખેડૂતને નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના કાતરા (સમાલ) ગામે ખેડૂતને માર મારવાની ઘટના સામે આવી છે. ગામના હરીભાઇ નાગરભાઇ પટેલ ગઇકાલે સવારે તેમની પત્નિ સાથે પોતાના ભેંસો માટે ચારો લેવા ખેતરે ગયા હતા. જ્યાં તેમના પાડોશી ખેતરમાં તેમનો ભત્રીજો રમેશભાઇ માવાભાઇ પટેલ તેનું ટ્રેક્ટર લઇ ફરીયાદીના ઘઉં વાળા ખેતર વચ્ચે થઇ નીકળતો હતો. જેથી તેને રોકાવી કહેલ કે, ટ્રેક્ટર માટે ખેતરની બાજુમાં દસેક ફૂટનો રસ્તો બનાવ્યો છે તો તમે કેમ ત્યાંથી ચાલતાં નથી ? આવું કહેલાં રમેશભાઇએ ઉશ્કેરાઇ જઇ હરીભાઇ સાથે ગાળાગાળી કરી તેમને નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે રમેશભાઇએ હરીભાઇને માર મારતાં તેમની પત્નિ બબીબેને પણ તેનું ઉપરાણું લઇ ફરીયાદીને ગાળાગાળી કરી હતી. જેથી ફરીયાદીએ બુમાબુમ કરતાં તેમની પત્નિ દોડી આવતાં બંનેએ જતાં-જતાં કહ્યું હતુ કે, ટ્રેક્ટર તો અહીંયાથી જ નીકળશે. તારાથી થાય તે કરી લેજે, હવે પછી વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેને લઇ હરીભાઇએ બે વ્યક્તિ સામે વાગદોડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપી સામે આઇપીસી કલમ 323, 506(2), 294(b), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.