ઘટના@શંખેશ્વર: કોવિડ રસીના કેમ્પમાં બબાલ, આરોગ્ય કર્મચારીને માર્યાની 5 વિરૂધ્ધ ફરીયાદ
અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર
શંખેશ્વર તાલુકા આરોગ્યમાં કોવિડ મહામારી દરમ્યાનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઇકાલે સવારથી શરૂ થયેલ રસીકરણ દરમ્યાન અચાનક સ્થાનિક ઇસમ અને આરોગ્ય કર્મચારી વચ્ચે ગરમાગરમી થઇ હતી. જોતજોતામાં એક ઇસમ સાથે વધુ ચાર વ્યક્તિ આવી જતાં હોબાળો મચી ગયો હતો. રસીકરણનો કેમ્પ કેમ બદલો છો ? અને ચોક્કસ ઉંમરનાને કેમ રસી નથી આપતા ? તેવા સવાલો વચ્ચે મામલો બિચક્યો હતો. ઝઘડાને પગલે કોવિડ રસીકરણનો કેમ્પ આટોપી લેવાની નોબત આવી હતી. ઘટનાને પગલે આરોગ્ય કર્મચારીને ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યાની પોલીસ ફરીયાદ દાખલ થઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકા આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ગઇકાલે રવિવારે ખાનગી કોમ્પલેક્ષ પાસે આરોગ્યના કર્મચારીઓ ગાઇડલાઇન મુજબ રસી આપતાં હતા. કેમ્પમાં સરેરાશ 30થી વધુ વ્યક્તિને રસી આપ્યા બાદ સ્થાનિક રહિશ રાવળ ભરત પ્રહલાદભાઇ દોડી આવ્યા હતા. કેમ્પમાં ગરમીથી રક્ષણની પૂર્વઆયોજીત વ્યવસ્થા ન હોઇ સ્થળ ફેરફારની ચર્ચા ચાલી રહી હતી. તે દરમ્યાન ભરત રાવળ નામના ઇસમે આરોગ્ય કર્મચારીઓ સાથે સવાલો કરતાં મામલો ગરમાયો હતો. સવાલ-જવાબ શાંત પડે તે પહેલાં જ ભરત રાવળ સાથે વધુ ઇસમો આવી જતાં આરોગ્ય કર્મચારી જયદિપ ચાવડા સાથે ઝઘડો થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, મારામારી અને ઝઘડો થયો હોવાનું જાણી આરોગ્ય કર્મચારીઓએ રસીકરણનો કેમ્પ આટોપી લેવા મથામણ કરી હતી. સમગ્ર ઘટના બાદ આરોગ્ય કર્મચારી જયદિપ ચાવડાએ શંખેશ્વર પોલીસ મથકે કોવિડ રસીકરણમાં ખલેલની ફરીયાદ નોંધાવી છે. જેમાં ભરત રાવળ સહિતના સામે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું તેમજ સરકારી ફરજમાં અડચણરૂપ થયાનું ફરીયાદમાં લખાવ્યુ છે. શંખેશ્વર પોલીસે 5 ઇસમો સામે આઇપીસી 147, 149, 353, 332, 189, 323, 294(b), 506(2), ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાને પગલે ઉભા થતાં સવાલો
- કેમ્પના સ્થળે ગરમીમાં રક્ષણની વ્યવસ્થા કેમ નહોતી કરી ?
- ગરમીથી કેમ્પનું સ્થળ બદલવું પડશે તેવી ખબર ન હતી ?
- આખો દિવસ સુરક્ષિત રસીકરણ થાય તેવું સ્થળ કેમ પસંદ ન કર્યુ ?
- રસીના લાભાર્થીઓને સ્થળ બદલવાની જાણકારી માટે વ્યવસ્થા કરી હતી ?
- ગરમી સામે રસીને રક્ષણ જરૂરી હોવા છતાં સ્થળ પસંદગીમાં કેમ બેકાળજી થઇ ?