અપમાન@બેચરાજી: ગામ નજીક કેન્દ્રીય મંત્રી આવ્યા, સરપંચને જ પ્રવેશબંધી
અટલ સમાચાર, બેચરાજી(ભુરાજી ઠાકોર)
બેચરાજી નજીક ONGCના યુનિટમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી મુલાકાતે આવ્યા હતા. આ દરમ્યાન કલેક્ટર સહિત વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલના ભાગરૂપે દોડધામ થઇ હતી. જોકે ગ્રામ પંચાયતના સર્વેસવા ગણાતા સરપંચને જ પ્રવેશબંધી કરતા ચકચાર મચી ગઇ છે. જીલ્લા વહીવટી તંત્ર અને ONGCએ કેન્દ્રીય પ્રધાન માટે આગતા સ્વાગતા કરતા દરમ્યાન સરપંચનું અપમાન કરી પ્રોટોકોલ ભંગ કર્યાનું સામે આવ્યુ છે. પંચાયતમાં ગ્રામસભા સૌથી મોટી સંસ્થાના વડાને ગેટ બહાર ઉભા રખાવ્યા હતા.
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના આકબા ગામ પાસે ONGCનું GGC-2 યુનિટ આવેલુ છે. જેમાં મહેસાણા એસેટ દ્વારા કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સાંસદ શારદાબેન પટેલ અને જુગલ ઠાકોર સાથે કલેક્ટર સહિતના પહોંચ્યા હતા. વીવીઆઇપીના કાફલા વચ્ચે અધિકારીઓ દ્વારા સરકારી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન આકબા અને રાંતેજ ગ્રામ પંચાયતના સરપંચનું હળહળતું અપમાન થયાનું સામે આવ્યુ છે.
મહેસાણા જીલ્લા વહીવટી તંત્રએ કાર્યક્રમમાં પોતાની ભુમિકા અદા કર્યા દરમ્યાન ગામના પ્રધાન સામે પ્રોટોકોલ ભંગ કર્યો છે. મહેસાણા ONGC એસેટનું યુનિટ બેચરાજી તાલુકાની સમરસ આકબા ગ્રામ પંચાયતથી નજીક છે. આથી કાર્યક્રમની જાણ થતા આકબાના સરપંચ મનુભાઇ રામાભાઇ પરમાર અને રાંતેજ સરપંચ ગેમરભાઇ દોડી ગયા હતા. સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોતાના ગામ નજીકના સરકારી કાર્યક્રમમાં પ્રવેશબંધી રાખતા કેન્દ્રીય પ્રધાન સામે ગામના પ્રધાન લાચારીની સ્થિતિમાં મુકાયા હતા.
બંને સરપંચો ગામના વિકાસની રજૂઆત કરવાના હતા
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ગામ નજીક આવ્યા હોઇ પંથકમાંથી ઉત્પાદન થતા ક્રુડ સામે ગામની રજૂઆત છે. જેથી આકબા ગ્રામ પંચાયતના સરપંચ મહેસાણા ONGC એસેટ વિરૂધ્ધ રજૂઆત કરવાના હતા. જેમાં સામાજીક કલ્યાણ અર્થે થતા ખર્ચમાં ગામને ગ્રાન્ટ આપવામાં નહિ આવતી હોવાની બુમરાડ છે. જેથી સરપંચે લેખિતમાં વિગતો તૈયાર કરી કેન્દ્રીય પ્રધાનને રજૂઆત કરવા તૈયારી કરી હતી. જોકે, ONGC એસેટ અને વહીવટી તંત્રની પ્રવેશબંધીને કારણે સરપંચને વિલા મોઢે પરત થવુ પડ્યું હતુ.
સરપંચના અપમાનની ઘટનામાં જુગલ ઠાકોર ભાગીદાર ?
પોતાના ગામ પાસેના સરકારી કાર્યક્રમમાં સરપંચને પ્રવેશ નહિ મળતાં અનેક સવાલો ઉભા થયા છે. કેન્દ્રીય પ્રધાન સાથે મહેસાણાના આગેવાન અને રાજ્યસભા સાંસદ જુગલ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આથી સરપંચની પ્રવેશબંધી અને અપમાનને લઇ જુગલ ઠાકોરની ભુમિકા સવાલોના સકંજામાં આવી છે. સમગ્ર મામલે જુગલ ઠાકોરે કેમ સરપંચની પ્રવેશબંધી સામે બેદરકારી દાખવી છે ? તેવા સવાલો પંથકમાં ચર્ચાઇ રહ્યા છે.