ઈશરત જહા કેસઃ વણઝારા અને એન.કે.અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે, બંને સામે 197 મુજબ કાર્યવાહી ન થાય. ત્યારે 15 હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરાઈ છે.
આ અધિકારીઓએ 8 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જે બાદ બંનેના પરિવારજનોમાં પણ ખુશીના સમાચાર છવાઈ ગયા હતા. મુક્તિથી કોર્ટ બહાર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લાગ્યા. કોર્ટ બહાર ખુશી વ્યક્ત કરતા એન.કે.અમીને કહ્યું કે, કેટલાય વર્ષોની માનસિક, શારીરિક, કરિયર, સામાજિક યાતનાઓ સહી છે ત્યાર અમને રાહત મળતા ખુશી અનુભવીએ છીએ.
રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી. જેથી આજે સીબીઆઈ કોર્ટ દ્વારા બંનેને મુક્ત કર્યાં છે. આગામી દિવસોમાં બંને અધિકારીઓ સામે કોઈ પણ કેસ ચાલશે નહિ. આ ચુકાદા બાદ બંને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બંને પૂર્વ પોલીસ અધિકારીઓએ ઈશરત જહા નકલી એન્કાઉન્ટર કેસ મામલે પોતાની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી હતી.
ઈશરત જહા એન્કાઉન્ટર મામલો શું હતો?
19 વર્ષીય ઈશરત જહા, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લૈ, અમજદ અલી, અકબર અને જીશાન જૈાહરને 15 જુન 2004ના અમદાવાદમાં એન્કાઉન્ટર કરાયું હતું. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, આ ચારેય લોકો આતંકવાદી સંબંધિત હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના ષડયંત્રથી ગુજરાતમાં આવ્યા હતા. સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો, અને એસઆઈટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી હતી.