ક્ષત્રિય સમાજઃ વરરાજાએ 51,000ના ચાંલ્લા સામે 11 રૂપિયા સ્વીકારી કુ-રિવાજને તિલાંજલિ
ભગવાન રાયગોર, અટલ સમાચાર
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિહોરી ક્ષત્રિય રાજપૂત સમાજમાં દહેજ પ્રથાને નાબૂદ કરવાનો પ્રથમ બનાવ નોંધાવા પામ્યો છે. કન્યા પક્ષ તરફથી મળેલ 51,000ના ચાંલ્લા સામે માત્ર 11 રૂપિયા સ્વીકારી વરરાજાએ રાજપૂત સમાજમાં નવા અભિગમને જન્મ આપ્યો છે. દહેજ એ દૂષણ એમ માની આવકારદાયક નિર્ણયને વરરાજાની સાથે ઉપસ્થિત જાનૈયાઓએ પણ વધાવી લીધો છે.
શિહોરી વજાણી પાટીમાં ડાભી સમાજના સુરેન્દ્રસિંહ ચતરસિંહને ત્યાં જાન આવી હતી. મૂળ રાજપુરા (કટોસણ રોડ)ના સોલંકી વિક્રમસિંહના પુત્ર વિજયસિંહ હોંશે હોંશે વધુને લેવા આવ્યા હતા. જયારે લગ્નમાં વધુપક્ષ તરફથી ચાંલ્લા પેટે 51,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જે રકમને વરરાજાએ સહર્ષ રીતે વધુ સાસરીપક્ષ અને જાનૈયાપક્ષને પુરાણી પ્રથાને દૂર કરવા સમજાવી લીધા હતા. તેમણે જણાવ્યું કે, જેનુ કોઈ મુલ્ય નક્કી ના કરી શકાય તેવો ખજાનો પોતાના ઘરે લઈ જઈ રહેલ છે. આ સાથે બન્નેપક્ષની મર્યાદા જાળવી 11 રૂપિયાનો સહર્ષ સ્વીકાર કરી કુરિવાજને તિલાંજલી આપી હતી. આ બાબતથી કન્યા અને જાનૈયા બન્ને પક્ષોએ વધાવી વરરાજાની ઉદારતાથી ખુશી વ્યાપી જવા પામી હતી.