લાલીયાવાડી@બેચરાજી: મામલતદાર કચેરીમાં અગ્નિશામક બોટલ મૃતપાય
અટલ સમાચાર,મહેસાણા
સુરતમાં અગ્નિકાંડને પગલે રાજયભરની કચેરીઓમાં દોડધામ મચી ગઇ છે. જોકે, મહેસાણા જીલ્લાની ખુદ સરકારી કચેરીઓ આગ સામે લડવા નિષ્ફળ હોવાનું સામે આવ્યુ છે.
બેચરાજી મામલતદાર કચેરીમાં અગ્નિશામકની બોટલ મૃતપાય છે. જયારે તાલુકા પંચાયત કચેરીમાં તો ફાયર સેફટીનું નામોનિશાન નથી. જેનાથી બંને કચેરીના કર્મચારી અને રોજબરોજના અરજદારો માટે ગંભીર પરિસ્થિતિ માનવામાં આવી રહી છે.
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાની બબ્બે મુખ્ય કચેરી ફાયર સેફટીની વ્યવસ્થા સામે લાલિયાવાડી ચલાવતી હોવાનું બહાર આવ્યુ છે. સમગ્ર બાબતે અટલ સમાચાર ઘ્વારા રૂબરૂ તપાસ કરતા તાલુકા પંચાયતમાં ફાયર સેફટી માટે જરૂરી અગ્નિશામકની બોટલ છેલ્લા કેટલાય વર્ષોથી ઉપલબ્ધ નથી. જયારે મામલતદાર કચેરીમાં કુલ ચાર બોટલ પૈકી એક ખલાસ જયારે ત્રણ બોટલ મૃતપાય હોવા છતાં રીફીલ કરવામાં આવી નથી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ટીડીઓ અને મામલતદાર તાલુકાના અરજદારો અને કચેરીના કર્મચારીઓની આગ સામેની સુરક્ષા માટે બેદરકાર હોવાનું બહાર આવ્યુ છે. આવી સ્થિતિમાં જો બંને કચેરીમાં આકસ્મિક આગની ઘટના સંભવત દુર્ઘટનામાં પરિણમે તેવી ભીતી સેવાઇ રહી છે.