તાળાબંધી@થરાદ: આચાર્યની બદલી રોકવા ગામલોકોનો હોબાળો, ચકચાર
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં આચાર્યની બદલીને લઇ ગામમાં શોરબકોર મચી ગયાનું સામે આવ્યુ છે. ગામલોકોએ બદલી રોકવા રજુઆત કર્યા બાદ અસંતોષ થયો હોવાનુ સમજી હોબાળો મચાવી દીધો હતો. ઉગ્ર કાર્યક્રમ આપવાના ભાગરૂપે શાળાને તાળાબંધી કરતા ખળભળાટ મચી ગયો છે. તાળાબંધી દરમ્યાન શિક્ષક સ્ટાફને શાળામાંથી બહાર બોલાવી લીધા હતા. ઘટનાને પગલે ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ઘેસડા ગામની પ્રાથમિક શાળાને અચાનક તાળું મારી દેવામાં આવ્યુ હતુ. આચાર્યની બદલી થતી હોઇ ગામલોકોએ નારાજગી સાથે રજૂઆત કરી હતી. ગામલોકો શાળાના આચાર્યની બદલીના વિરૂધ્ધમાં હોવાથી શિક્ષણાધિકારીઓને જણાવ્યુ હતુ. જોકે વહીવટી પ્રક્રીયાના ભાગરૂપે બદલી થતાં આચાર્યને શાળા છોડવાની નોબતને લઇ ગામલોકો રોષે ભરાયા હતા. આથી શાળાને તાળબંધી કરી શિક્ષણકાર્ય સ્થગિત કરાવી દીધુ હતુ.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બદલી થવાને પગલે આચાર્યની કરતા ગામલોકો વધુ નારાજ થઇ રહ્યા છે. કોઇ કારણસર આચાર્યને ગામની શાળામાં જાળવી રાખવા ઇચ્છતા લોકોએ ગુરૂવારે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં શિક્ષકોને બહાર બોલાવી શાળાના મુખ્યગેટને તાળું મારી દેતાં શિક્ષણ આલમમાં દોડધામ મચી ગઇ છે. ઘટનાને પગલે તાલુકાથી જીલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ શિક્ષણકાર્ય યથાવત કરાવવા મથામણમાં લાગ્યા છે.