નુકશાન@બેચરાજી: ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોનો ઊભો પાક જલમગ્ન
અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી (ભૂરાજી ઠાકોર)
હવામાનની આગાહી અને ગુલાબ વાવાઝોડાની અસરને કારણે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. જોકે યાત્રાધામ બેચરાજી પંથકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતાં કૃષિ પાકને મોટું નુકશાન થયું છે. વહેલી સવારથી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકશાન થતાં ચિંતા જનક સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ વરસાદને કારણે ધોળા દિવસે પણ વાહનચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જિલ્લામાં આજે સવારથી અવિરત વરસાદ ચાલુ છે. જોકે યાત્રાધામ બેચરાજી પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકશાન પહોંચ્યું છે. બેચરાજી-હારીજ હાઇવે પરના ખેતરોમાં વરસાદી પાણીમાં ભરાતાં ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા છે. જેથી દેવું કરીને ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે અડદ, કપાસ, તલ, બાજરી સહિતના કૃષિપાકોમાં ભારે નુકશાન પહોંચ્યું છે.