મહેસાણા: કિશોરના મૃત્યુને લઇ ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ, 2 ગાર્ડ સામે હત્યાનો ગુનો
અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા સ્થિત બાળ ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરના મૃત્યુના 18 કલાક બાદ પણ પરિવારે લાશ સ્વીકારવા ઇન્કાર કર્યા બાદ શુક્રવારે મોડીસાંજે ત્રણ સામે ફરીયાદ નોંધવામાં આવી છે. ગઇકાલે સવારથી બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે પોલીસે ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ, બે ગાર્ડ અને તપાસમાં નીકળે તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ, બે ગાર્ડ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગત દિવસોએ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં હત્યા અને ચોરીના બાળ આરોપીના મોતની ઘટનાએ તંત્રને દોડતું કરી મૂક્યુ છે. જેને લઇ અમદાવાદમાં 7 ફોરેન્સિક તબીબોની પેનલથી કિશોરની લાશનું 5 કલાક સુધી ચાલેલા પીએમ બાદ પરિવારે જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવા જીદ સાથે લાશ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. શુક્રવારે સવારે 9 વાગ્યાથી કિશોરના માતા, પિતા અને સગાસંબંધીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ મોડી સાંજે ફરીયાદ નોંધવામાં આવી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, કિશોરો જ્યારે ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગ્યા ત્યારે મૃતક કિશોરે ગૃહપતિને ગાર્ડને માર્યા હતા. જોકે જ્યારે તેને પકડીને પુન: ઓબ્ઝર્વેશન હોમમાં લવાયો ત્યારે પોતે ખાધેલા મારનો બદલો લેવા તેમના પર હુમલો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર મામલે કલાકોની મથામણ બાદ પોલીસે ગૃહપતિ અને બે ગાર્ડ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
કોની-કોની સામે હત્યાનો ગુનો નોંધાયો
- વિષ્ણુ એલ. પ્રજાપતિ,ગૃહપતિ
- કનુભાઇ એન. ચૌધરી, ગાર્ડ
- અક્ષય પી. ચૌધરી, ગાર્ડ