માન્યતા@ગુજરાતઃ ઘરમાં મની પ્લાન્ટ ન રાખો આ જગ્યાએ, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
આપણે ત્યાં ઘરમાં અલગ અલગ ફૂલછોડ વાવીને રાખવામાં આવે છે જેનો સીધો સંબંધ આપણી આર્થિક સ્થિતિ સુખ શાંતિ અને સમૃદ્ધિ પર થતી હોય છે. આપણે ત્યાં મની પ્લાન્ટને ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં રાખેલો હોય તો આર્થિક સદ્ધરતા અને સુખ-શાંતિ પણ જીવનભર સાથ છોડતી નથી. મની પ્લાન્ટના આ મહત્વના કારણે અનેક ઘરમાં આ છોડ જોવા મળે છે.
લોકો પોતાના નસીબને ચમકાવવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ જો તેનાથી લાભ ન થતો હોય તો તેનું કારણ અજાણતા થયેલી ભૂલ હોય શકે છે. મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી ફાયદો થઈ શકે છે પરંતુ તેના માટે કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડે છે. તો જાણી લો તમે પણ કયા કયા છે આ નિયમો જે મની વેલ (પ્લાન્ટ)ને બનાવે છે પ્રભાવશાળી.
મનીવેલ ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવો, તેનાથી ઘરમાં નકારત્મક ઊર્જા પ્રવેશે છે. સાથે જ ઘરના સભ્યોના મનમાં ભયની લાગણી ઉત્પન્ન થાય છે. મનીવેલને ક્યારેય જમીન પર પથરાવા ન દેવી, તે ઉપરની તરફ વધે તેવી વ્યવસ્થા રાખવી. જો જમીન પર વેલ પથરાયેલી રહેશે તો ધનહાનિ થાય છે.
આ વેલ ક્યારેય સુકાય નહીં તેનું ધ્યાન રાખવું. તેમાં નિયમિત રીતે પાણી આપવું. પૂર્વ-પશ્ચિમની તરફ પણ તેને ન રાખવો, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. મનીવેલ આસપાસ ગંદકી ન રાખવી, તે સ્થાનને હંમેશા સાફ રાખવું. મનીવેલ દક્ષિણ-પૂર્વ દિશા તરફ જ રાખવી જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિ વધે છે.