બેદરકારી@શામળાજીઃ નધણીયાતી બનેલી ચેકપોસ્ટમાં ચોર-લૂંટારાઓનો પગપેસારો
અટલ સમાચાર, અરવલ્લી
આરટીઓ તંત્રએ રતનપુર ચેકપોસ્ટ પર દંડાત્મક કાર્યવાહી કરાયેલ અને ચેકપોસ્ટ નજીક જપ્ત કરી મૂકી રાખેલ ખાનગી બસ, ટ્રક સહીત અન્ય વાહનોમાંથી એસેસરીઝ, ટાયરો અને સ્પેર પાર્ટસની અસામાજિક તત્વોએ લૂંટ ચલાવતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. હાલમાં રામ ભરોષે બનેલા વાહનો ઉપર ચોર-લૂંટારાઓનો ડોળો મંડરાયો હોવાથી ચોરીઓની ઘટના બની રહી છે. ચેકપોસ્ટ પર પડેલા વાહનોની સલામતી માટે બંદોબસ્ત કરવામાં આવે તેવી માંગ વાહનચાલકોમાં માંગ ઉઠી છે.
રાજયની 16 આરટીઓ ચેક પોસ્ટ એકાએક બંધ કરી દેવાઈ છે. 20મી નવેમ્બરની મધ્યરાત્રીએથી બંધ કરી દેવાયેલી આ ચેક પોસ્ટો ઉપર ડીટેઈન કરાયેલા વાહનો કે આર.ટી.ઓ.કચેરીની સુરક્ષા માટે કોઈ જ સુરક્ષા બંદોબસ્ત ન કરાતાં હાલ તસ્કરો આવી બંધ ચોકીઓને નિશાન બનાવી રહયા છે. શામળાજી ખાતેની આરટીઓ ચેકપોસ્ટ ઉપર હાલ કબ્જે રખાયેલા વાહનોના ટાયરો, પાર્ટસ અને એસેસરીઝની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. જયારે આસપાસના લોકો જરૂરી બંદોબસ્ત ગોઠવવા માંગ કરી રહયા છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
રાજયની આર.ટી. ઓ ચેકપોસ્ટ ઉપર વાહન ચાલકોને ભોગવવી પડતી પરેશાનીને નામે 16 આરટીઓ ચેક પોસ્ટ 20મી નવેમ્બરથી રાજય સરકારે બંધ કરી દીધી. પરંતુ નિર્ણય બાદ ઉતાવળે આ ચેક પોસ્ટોને રાતોરાત ખંભાતી તાળા લગાડી દેવાતા લાખ્ખો રૂપિયાના વાહનો, ચેક પોસ્ટ બીલ્ડીંગ અને અન્ય સાધન સામગ્રી રણીધણી વગરની બની રહી છે. દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી આર.ટી.ઓ.ચેક પોસ્ટ પણ આ નિર્ણય હેઠળ બંધ કરી દેવાઈ.
પરંતુ ચેકપોસ્ટ સ્થળે રખાયેલ ડીટેઈન કરાયેલા વાહનો કે વિભાગની માલ-મિલક્તની રખેવાળી કરવાનું વિભાગ જ જાણે વિસરી ગયું હોય એમ હાલ રામ ભરોસે છોડી દેવાઈ છે. શામળાજી ચેક પોસ્ટને બંધ કરાયે છ દિવસ થયા પરંતુ આ છ દિવસોમાં ચેક પોસ્ટ પર ડીટેઈન કરી રખાયેલ વાહનોના ટાયરો, પાર્ટ અને એસેસરીઝની ચોરી થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાહનોમાંથી ચોરાતા દાગીના (સ્પેર પાર્ટસ) ના બનાવને લઈ આસપાસના પ્રજાજનોએ સત્વરે આ ચેક પોસ્ટ ઉપર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માંગ ઉઠાવી છે.