પ્રજાસત્તાક પર્વના રાજય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે પાલનપુર ખાતે નવદંપતિ સંમેલન યોજાયું
અટલ સમાચાર,પાલનપુર
પ્રજાસત્તાક પર્વના રાજય ઉત્સવની ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધારાસભ્ય મહેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને નવદંપતિ સંમેલન યોજાયું હતું. બેટી બચાવો- બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ નવદંપતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઇ પટેલે જણાવ્યું કે સમાજમાં દિકરા-દિકરીનો સમાનતાથી ઉછેર થાય અને દિકરીઓ પણ પુરૂષ સમોવડી બની કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર નું નામ રોશન કરે તેવા પ્રયાસો કરીએ. તેમણે કહ્યું કે સ્રી ભ્રૂણ હત્યા અટકાવવા કડક કાયદાઓ છે ત્યારે તેનું ચુસ્ત પાલન કરી સ્ત્રી ભ્રૂણ હત્યા થતી અટકાવી સમરસ સમાજની રચના કરીએ.
આરોગ્ય વિભાગના અધિકારી ર્ડા. મુકેશ ત્રિવેદીએ નવદંપતિઓને પી.સી.પી.એન.ડી.ટી. કાયદાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સમાજમાં ગર્ભ પરિક્ષણ થતું અટકાવવા જાગૃતિ લાવવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે દિકરીઓ માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે તેનો લાભ લઇ દિકરીઓ પણ આગળ વધી શકે છે.
આ પ્રસંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટના પ્રમુખ રશ્મીબેન હાડા,તસ્લીમબેને મહિલઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પરમાર, બાળ વિકાસ યોજના અધિકારી ઉષાબેન ગજ્જર, આઇ.સી.ડી.એસ.ના અધિકારીઓ સહિત સારી સંખ્યામાં નવદંતિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.