પાલનપુર: ગઢ ખાતે મહિલા સશક્તિકરણ સેમિનારમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી
અટલ સમાચાર, પાલનપુર
પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ વિમળા વિધાલયમાં રાષ્ટ્રી્ય મહિલા આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને સેવંતિલાલ ત્રિભોવોનદાસ ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય વિષયક સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે મહિલા આયોગના સભ્યએ જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગ કામ કરે છે. તેમણે કહ્યું કે નારી સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. નારીશક્તિએ સારૂ શિક્ષણ મેળવી તમામ ક્ષેત્રોમાં આગળ વધવું જોઇએ.
સભ્યએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા-સલામતિ અને વિકાસ માટે વિશેષ કાયદાઓ અમલી બનાવાયા છે. મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે દેશભરમાં અનેક કાર્યક્રમો પણ થઇ રહ્યા છે. તેમણે જણાવ્યું કે દિકરીઓમાં ઘણીબધી ક્ષમતાઓ પડેલી હોય છે તેમણે જીવનમાં પોતાનું લક્ષ્યા નક્કી કરી તે દિશામાં આગળ વધવાની જરૂર છે. ગુજરાત સરકારે દિકરીઓ માટે સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓ બનાવી છે જેમાં કૂપોષણ હટાવવા, આરોગ્ય અને શિક્ષણની યોજનાઓનો સમાવેશ થાય છે.
ર્ડા. રાજુલબેન દેસાઇએ દહેજ પ્રતિબંધક ધારો, ઘરેલું હિંસા કાયદો, મહિલાઓની જાતીય સતામણી સહિતના મહિલાઓને લગતા કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, સામાજિક કૂરિવાજોને તિલાંજલિ આપવામાં મહિલાઓ સક્રિય ભૂમિકા અદા કરે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, દિકરીઓની સાચી મિત્ર તેની માતા હોય છે. માતાએ દિકરી-દિકરાનો ભેદભાવ રાખ્યા સિવાય દિકરીઓને પણ પુરતુ મહત્વ આપી તેનો ઉછેર અને લાલન-પાલન કરવું પડશે. તો જ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ સાર્થક થયું ગણાશે. સભ્યશ્રીએ રાષ્ટ્રીય મહિલા આયોગની કામગીરી વિશે પણ સુંદર માર્ગદર્શન આપ્યુંક હતું.
આ પ્રસંગે સેવંતિલાલ ત્રિભોવોનદાસ ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી નરેન્દ્રભાઇ શાહ,ગઢ વિમળા વિધાલયના નિયામક ર્ડા.સલીમ,અગ્રણી અમૃતભાઇ દેસાઇ, આઇ.સી.ડી.એસ. અધિકારી સહિત શાળાના શિક્ષકો, વિધાર્થીઓ અને સારી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.