પાલિકા@રાધનપુર: પૂર્વ પ્રમુખને પેટા કોન્ટ્રાક્ટરોથી જાનનું જોખમ, અરજી ચકચાર
અટલ સમાચાર, મહેસાણા
રાધનપુર પાલિકામાં એન્ટી કરપ્સન બ્યુરોની રેડ બાદ ઘણું બધું ઉથલ પાથલ થઈ ગયું છે. આ તમામ ગતિવિધિ વચ્ચે સ્થાનિક પેટા કોન્ટ્રાક્ટર તરફથી જાનનું જોખમ હોવાની આશંકા પાલિકાના પૂર્વ પ્રમુખે વ્યક્ત કરી છે. લુખ્ખા તત્વોનો ત્રાસ હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરતાં ખળભળાટ મચી ગયો છે.
રાધનપુર નગરપાલિકામાં લાંચિયા ઈજનેર ગજ્જરની ધરપકડ બાદ રાજકીય અને વહીવટી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઈજનેર સાથે સાંઠગાંઠ ધરાવતા સ્થાનિક કોન્ટ્રાક્ટરો ધુઆપુઆ થઈ ગયાની અસર સામે આવી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ- ઉપ પ્રમુખ અંકુર જોશીએ પોતાને જાનનું જોખમ હોવાની નામજોગ અરજી આપી છે.
પાલિકાને બાનમાં લેવા મથી રહેલા લુખ્ખા તત્વોનો ત્રાસ હોવાથી સિનિયર નગરસેવક અંકુર જોશીએ પોલીસ વડાને જાણ કરી છે. અંકુર જોશીએ જણાવ્યું હતું કે, ઈજનેર રણછોડ ગજ્જર એસીબીમા ઝડપાયા બાદ અનેકની દુકાન બંધ થઇ હોવાથી આવારા તત્વો બેફામ બની ગયા છે.
ધમકી આપી હોવાથી જાનને ખતરાની આશંકા
લાંચિયા ઇજનેરના સાગરિતો પાલિકામાં પોતાનું ધાર્યું કરાવવા તલપાપડ છે. આ તત્વોએ અગાઉ અનેકવાર ધમકીઓ આપેલી છે. આગામી દિવસોમાં હુમલો કરવાની ફિરાકમાં હોવાથી પોલીસને જાણ કરી હોવાનું નગરસેવક અંકુર જોશીએ જણાવ્યું હતું.શંકાસ્પદ કામગીરીનું ચૂકવણું અટકાવવા માંગ
રાધનપુર પાલિકા હદ વિસ્તારમાં સ્મશાનગૃહના વરંડાનુ પેમેન્ટ રોકવા રજૂઆત કરવામાં આવી છે. આથી પાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ કન્સલ્ટિંગ એજન્સીને પત્ર લખી સમગ્ર મામલે સાત દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.
લાંચિયો ઇજનેર ઝડપાતા ગરાસ લુંટાઈ ગયો
પાલિકાનો લાંચિયો ઈજનેર રણછોડ ગજ્જર એસીબીમા ઝડપાઇ ગયા બાદ કેટલાકને જાણે ગરાસ લુંટાઈ ગયો છે. છેલ્લા એક મહિનાથી ઘર અને બહાર સોપો પડી ગયો હોય તેમ દોડધામ કરી રહ્યા છે. આવક આપતું મશીન ઝુંટવાઈ ગયું હોય તેવી હાલત પેટા કોન્ટ્રાક્ટરોની બની હોવાનો આક્ષેપ કર્યો છે.