પાલિકા@રાધનપુર: ભયાનક ગંદકી વચ્ચે રહેતાં લોકોનો જઠરાગ્નિ ભભૂક્યો, વોટની સ્પષ્ટ મનાઇ
અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં-7ની ખાલી થયેલી બેઠક માટે નેતાઓનો ચૂંટણી પ્રચાર જોરમાં છે. જોકે જે મતદારોને રીઝવવાના છે તેઓ ખૂબ લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યુ છે. ગટરની ભયંકર ગંદકી, પાકા રોડનો અભાવ અને ગંદા પાણી વચ્ચે રહેતાં લોકોનો જઠરાગ્નિ ભભૂકી ઉઠ્યો છે. ઘરની બહાર નીકળતાં જ માથું ફાડી નાંખે તેવું ગટરનું ગંદુ પાણી ખુલ્લાં રસ્તા પર રોજ ફેલાય છે. આવી સ્થિતિમાં સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ સાથે વોટ માટેની સ્પષ્ટ મનાઇ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર શહેરની બે સોસાયટીના નામ ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલા છે. નામ ઉપરથી તો સોસાયટી રામરાજ સમાન ના હોય તો ઠીક પરંતુ કમસેકમ પ્રાથમિક સુવિધા તો હોય જ તેવી આશા બને છે. જોકે આ બંને સોસાયટીના રહીશો ગંદકી અને ગંદા પાણીથી ત્રાહિમામ્ હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે.
મસાલી રોડ ઉપર આવેલ અને વોર્ડ નં-7 હેઠળ આવતી અયોધ્યા નગર અને રામનગર સોસાયટીના પરિવારો અત્યારે સ્થાનિક નેતાઓ પ્રત્યે ભારે આક્રોશમાં છે. હકીકતે આ બંને સોસાયટીના રહીશો ઘરની બહાર નીકળતાં જ ગટરના ગંદા પાણીનો સામનો કરી રહ્યા છે. બાળકો અને મહિલાઓને ચાલીને નીકળતાં આકરી પરીક્ષા આપતાં હોય તેવી નોબત બની છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુર પાલિકાની ખાલી પડેલી વોર્ડ નં-7 ની એક બેઠક માટે હાલમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. હકીકતે આ ચૂંટણી આવતાં મીડિયા સમક્ષ અયોધ્યા નગર અને રામનગર સોસાયટીના રહીશોની દયનિય સ્થિતિનો ઘટસ્ફોટ થઇ ગયો છે. પાલિકાના સત્તાધિશો બંને સોસાયટીના રહીશોને પાકો રોડ અને ગંદકીથી છૂટકારો અપાવવામાં નિષ્ફળ રહ્યા છે.
આ સાથે પિવાનું પાણી પણ ગંદકીથી મિશ્રિત હોવાનું સામે આવતાં રહીશોની મુશ્કેલી અત્યંત ગંભીર બની ગઇ છે. આવી સ્થિતિમાં સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતુ કે, “નેતાઓને પહેલાં આ સમસ્યાઓનું નિરાકરણ કરવુ પડશે. નહીં તો વોટ માંગવા આવવુ નહી.”