પરેશાની@બેચરાજી: બસસ્ટેન્ડથી મંદિર જતાં કપચી વાગી શકે, તંત્રને પડી નથી?
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
બેચરાજી હાઇવેથી બસ સ્ટેન્ડને જોડતો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયો છે. વાહનચાલકો અને રાહદારીઓ 500 મીટરના માર્ગમાં સંઘર્ષ કરી રહ્યાનું સામે આવ્યું છે. બસસ્ટેન્ડથી હાઇવે અને ત્યાંથી મંદિર તરફ જતાં શ્રધ્ધાળુઓને ચાલતાં જતાં કપચી વાગવાનું જોખમ છે.
બેચરાજી ગામના નાગરિકો ધૂળિયા રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે. બસસ્ટેન્ડથી હાઇવે પરના ગરનાળા સુધીનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત હોઈ પસાર થતાં સૌ કોઈને હાલાકીનો સામનો કરવો પડે છે. માર્ગ પર દૈનિક મોટીસંખ્યામાં એસ ટી ઉપરાંત ખાનગી વાહનોની અવરજવર રહે છે.આ અંગે સ્થાનિક વેપારી મહામંડળના મહામંત્રી ચંપકલાલ શાહે જણાવ્યું કે, બેચરાજી હાઇવેના ગરનાળાથી બસસ્ટેન્ડ સુધીનો રોડ ઘણા સમયથી તૂટી ગયો છે. સરેરાશ 500 મીટરના જર્જરિત માર્ગ બાબતે ધારાસભ્ય ભરત ઠાકોરે પણ જિલ્લા સંકલન બેઠકમાં વારંવાર રજૂઆત કરેલી છે.
બેચરાજી તાલુકા પંચાયતની માર્ગ મકાન શાખાના કર્મચારીઓ પરિસ્થિતિ જાણતાં હોવા છતાં નિરસતા સેવી રહ્યા છે. જાણે મોટા કામોમાં રસ હોય તેમ માર્ગ મકાનના બાબુઓને 500 મીટરનો રસ્તો બનાવવામાં રસ ન હોવાનો બળાપો ગ્રામજનો ઠાલવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્ગ ઉપર પસાર થતાં રાહદારીઓને કપચી વાગી જવાની સંભાવના સામે તંત્રને કોઇ પરવા ન હોવાનો સવાલ ઉભો થયો છે. બસસ્ટેન્ડથી મંદિર જવા બારોબાર અન્ય એક માર્ગ હોવાથી મોટાભાગના શ્રધ્ધાળુઓ હાઇવે તરફ આવતા નથી. જોકે હાઇવેથી મંદિર તરફ જવા કે મહેસાણા તરફ જતાં ખાનગી વાહનો માટે ગરનાળા સુધી જતાં ભારે મુશ્કેલ રહે છે.