સંસદઃ કાયદામંત્રાલય ચાલુ સત્રમાં નોકરીયાતો માટે લાભકર્તા ખરડો રજૂ થશે
અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્ર સરકારે નવો શ્રમ ખરડો તૈયાર કર્યો છે અને તે સંસદના હાલના સત્રમાં જ રજૂ કરવામાં આવે એવી ધારણા છે. આ ખરડામાં મહિલા કર્મચારીની આબરૂ અને સલામતીને સર્વોપરી ગણવામાં આવી છે. નવા ખરડા મુજબ સ્ત્રીઓ કામકાજના કલાકો સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યાની વચ્ચે રહેશે. આમછતાં કોઈ મહિલા કર્મચારીઓ પાસે સાંજે 7 વાગ્યા પછી કામ કરાવવું હોય તો તેની સલામતી પૂરી પાડવાની જવાબદારી માલિકની રહેશે. ઉપરાંત રજાના દિવસે કોઈ પણ મહિલા કર્મચારીને કામ પર બોલાવી શકાશે નહીં. ધારો કે એને કામ પર બોલાવવાની કોઈ તાકીદની જરૂર ઊભી થાય તો એની સલામતીની જવાબદારી એનાં માલિકની રહેશે.
આ ખરડાનું બીજું મહત્વનું પાસું છે કાયદા અંતર્ગત કોઈ કર્મચારીનાં પરિવારની પરિભાષા. તે અંતર્ગત હવે આશ્રિતના દાદા-દાદી કે નાના-નાનીનો સમાવેશ કરવામાં આવશે. બીજા શબ્દોમાં જે લાભ આશ્રિત કર્મચારીનાં માતા-પિતાને મંજૂર કરવામાં આવ્યા છે તે હવે આશ્રિતના દાદા-દાદી કે નાના-નાનીને પણ મળશે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે તૈયાર કરેલા આ ખરડાને પ્રધાનમંડળે પાસ કરી દીધો છે અને હવે એને સંસદમાં રજૂ કરવામાં આવશે. કર્મચારી અને માલિક બંનેને લાભ રહે એ રીતે ઓવરટાઈમના કલાકોને વધારીને પ્રતિ મહિને 125 કલાક કરવામાં આવ્યા છે. એવી જ રીતે કર્મચારીનાં બાળકો માટે ઘોડીયાઘર, ગુણવત્તાયુક્ત આહાર માટે કેન્ટીન, અકસ્માત બને તો પ્રાથમિક સારવારની સુવિધા રાખવી પડશે. તેમજ એક વેલ્ફેર ઓફિસરની નિમણૂક પણ કરવાની રહેશે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાયદાને કર્મચારી માટે વધુમાં વધુ આસાન અને એના હિતમાં રહે એ રીતે બનાવ્યો છે. અમે કર્મચારીઓ તથા માલિકો, બંનેનાં અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનો પણ પ્રયાસ કર્યો છે. સરકારે મહિલા કર્મચારીઓની સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપી છે. ઈલેકટ્રોનિક મિડિયામાં કામ કરતા પત્રકારો સહિતના પત્રકારોને વધારે સારું વેતન મળે અને એમની કામકાજની પરિસ્થિતિ પણ સારી રહે એની તકેદારી રાખવામાં આવી છે. માલિકોએ નિર્ધારિત કરતાં વધારે વયના કર્મચારીઓને મફતમાં વાર્ષિક હેલ્થચેક-અપ સુવિધા પૂરી પાડવી પડશે. વધુમાં માલિકોએ દરેક કર્મચારીને અપોઈન્ટમેન્ટ લેટર આપવાનો રહેશે. કેન્દ્રીય કામદાર સંગઠનો, માલિકોના એસોસિએશનો અને રાજય સરકારો સહિત તમામ સંબંધિત પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આ ખરડો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કર્મચારીઓનાં લાભ માટે ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે.