ચિંતા@રાધનપુર: અપૂરતા ઘાસચારાથી પશુપાલકો સાથે મજાક- કોંગ્રેસ
અટલ સમાચાર, પાટણ
પાટણના રાધનપુરમાં પીવાના પાણી અને ઘાસચારા અંગે પરિસ્થિતિ વિકટ બની છે. સરકારની કામગીરી સામે સવાલો ઉભા થતાં કોંગ્રેસે હરકતમાં આવી ઘાસડેપોની મુલાકાત લીધી હતી. જેમાં સમયસર પૂરતો જથ્થો નહિ મળતાં સરકાર પંથકના પશુપાલકોની મજાક ઉડાવતી હોવાનાં આક્ષેપ કર્યા હતા.
પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોતરકા અને જાવંત્રીનાં ઘાસ ડેપોની મુલાકાત લેવાઇ હતી. ડેપો ઉપર નહીંવત ઘાસ મળતું હોવાનું નોંધ્યું હતું. આ સાથે દરેક ઘાસડેપોમાં 15 દિવસે એક ગાડી ઘાસ મળતું હોવાનું જાહેર કરતાં હડકંપ મચી ગયો છે.અનેક પશુપાલકોને પાંચ મહિનામાં માત્ર એક બે અઠવાડિયા ચાલે તેટલું ઘાસ મળેલ છે. પંથક માટે દરરોજ ચાર ગાડી જેટલું ઘાસ જોઈએ તો પણ 7થી 15 દિવસે એક ગાડી આવે છે. જેનાથી સરકાર રાધનપુર તાલુકાના પશુપાલકોની મજાક ઉડાવી રહી હોય તેવું નવીનભાઈ પટેલે જણાવ્યું હતું.
ઘાસડેપો ચકાસવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીન પટેલ, મહામંત્રી રાયસંગજી જાડેજા, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઈ ઠાકોર સાથે પ્રવિણસિંહ વાઘેલા, હમીરજી ઠાકોર, કરશનભાઈ ચૌધરી, જોરાજી ઠાકોર, સોમાભાઈ સોલંકી, સવિતાબેન શ્રીમાળી, વિષ્ણુ ઝુલા, હરદસભાઈ આહીર, ગોવિંદજી ઠાકોર અને ધરમપાલ સોઢા સહિતના જોડાયા હતા.