પ્રાંતિજ: સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા જતા 4 વ્યક્તિ ડૂબ્યા
અટલ સમાચાર, પ્રાંતિજ
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં હિંમતનગરના ગઢોડા ગામના યુવક મંડળના સદસ્યો ગણેશ વિસર્જન માટે હતા. ગણેશ વિસર્જન કરવા જતા ત્રણ યુવકો સાબરમતી નદીમાં ગરકાવ થતા તેમને બચાવવા પડેલ આધેડ પણ ડૂબી જતા ભારે હોહા મચી હતી. સ્થાનિક તરવૈયા અને પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથધરી હતી.
સાબરકાંઠા તાલુકાના ગઢોડા ગામના યુવકો અને ગ્રામજનો ગણેશ વિસર્જન માટે ભારે ઉત્સાહ સાથે રવિવારે સાંજના સુમારે પ્રાંતિજના સાદોલીયા ગામ નજીક પસાર થતી સાબરમતી નદીમાં પહોંચ્યા હતા. ગણેશ વિર્સજન કરવા જતા સંજયભાઈ બાબુભાઇ પટેલ ગોધરા ઉમર- ૧૭, સૂરજ પ્રકાશભાઈ પટેલ ગડોળા ઉમર-૧૫, અજયભાઈ ઈશ્વરભાઈ રાવળ ચરાડા ઉમર- ૨૩ (હાલ, રહે. ગઢોડા)ના ત્રણે યુવકો ડૂબતા ડૂબતા યુવકોને બચાવવા ભારે બુમાબુમ થતા ગાંડાભાઈ રાવળ જંત્રાલ ઉંમર- ૫૫ નામના આધેડ ત્રણે યુવકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. યુવકોને બચાવવા જતા આધેડ પણ ડૂબતા ભારે ચકચાર મચી હતી.
આ અંગેની જાણ પ્રાંતિજ ફાયર ટીમને કરાતા પ્રાંતિજ ફાયર ટીમ તથા પ્રાંતિજ પોલીસ તથા ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને પાણી માં શોધખોળ હાથધરી હતી પણ બે કલાક ની ભારે જહેમત પછી પણ એકપણ વ્યક્તિ હાથ ન લાગતા ભારે શોધખોળ આદરી છે. આ તમામ યુવકો બાપ્પાના વિસર્જન માટે નદીમાં ઉતર્યા હતા. નદીમાં પાણીમાં ઊંડાઈની જાણકારીના અભાવે તેઓ પાણીમાં ડૂબવા માંડ્યા હતા. આ બધા યુવકો તરી શકતા ન હતા, તેથી તેમને બચાવવામાં સમસ્યા આવી હતી.