સમસ્યા@વડગામ: આંબેડકરનગરમાં બનાવાયેલ જાહેર શૌચાલય બન્યુ ખંડેર
અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)
વડગામના આંબેડકર નગરમાં બનાવાયેલ શૌચાલય ખંડેર બન્યુ હોવાનું સામે આવતા મામલો ગરમાયો છે. વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓ, કોન્ટ્રાકટર અને જે-તે સમયના તલાટી સરપંચની ભાગીદારીમાં કલેકટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ નાણાંનો દુર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપ ખુલ્લેઆમ સ્થાનિક રહીશોમાં થઇ રહ્યા છે.
વડગામના આંબેડકર નગરમાં વર્ષ ૨૦૧૩માં પાણીના ટાંકા પાસે જાહેર શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે સમયે સ્થાનિક રહીશો એ શૌચાલય ન બનાવવા વિરોધ કરી અન્ય જગ્યાએ બનાવવા રજૂઆત કરતાં શૌચાલય ની કામગીરી સંપૂર્ણ બંધ રખાઈ હતી. જોકે પાછળ થી વહીવટી તંત્ર ના જવાબદારો જે-તે સમયના સરપંચ તલાટી અને કોન્ટ્રાકટર ભેગા મળીને આંબેડકર નગરના રહીશોને અંધારામાં રાખીને ૨૦૧૬માં કલેકટરની ગ્રાન્ટમાંથી જ શૌચાલય બનાવાયા હતા.
જોકે શૌચાલય બનાવ્યાના દિવસ થી આજ દિન સુધી પાણીની કોઈ જ સગવડન કરાતાં શૌચાલય ખંડેર બની ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. માત્ર કોન્ટ્રાકટર અને વહીવટી તંત્રના જવાબદારોની બેલડીએ ભેગા મળી જઇને જિલ્લાની ગ્રાન્ટનો કોઈ પણ ભય વગર ભષ્ટ્રાચાર આચરીને મોટાપાયે શૌચાલયમાં ગેરરીતિઓ કરાઇ હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે, બનાસકાંઠાના કલેકટર દ્વારા આ બાબતે તપાસ કરાવીને પોતાની ગ્રાન્ટનો કરાયેલ દુરુપયોગના નાણાંની રીકવરી કરાવી કસૂરવારોને સજા કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.