કાર્યવાહી@રાધનપુર: ગેરકાયદે મકાન સહાય કેસમાં ધરપકડના ભણકારા
અટલ સમાચાર, પાટણ
રાધનપુરમાં ગેરકાનૂની આવાસ સહાય કેસમાં હાઇકોર્ટે અસરકારક આદેશ કર્યો છે. પાલિકા દ્વારા દાખલ પોલીસ ફરિયાદમાં આરોપી આસિફ અહેમદભાઇ ઘાંચીને વચગાળાની રાહત મળી પરંતુ તેમના પત્ની અનિષાબેન આસિફભાઇ ઘાંચી માટે સ્ટે મળ્યો નથી. આથી મકાન સહાય કેસમાં ધરપકડની શક્યતા વધી ગઈ છે. જેના પગલે કાનૂની આલમમાં વહીવટી અને કાયદાકીય મંથન ગરમાયું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખોટા કાગળો આધારે સહાયનો હપ્તો લીધાની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં રાધનપુર પાલિકાએ વ્યવસાયે વકીલ આસિફ અહેમદભાઇ ઘાંચી અને તેમના પત્ની અનિષાબેન આસિફભાઇ ઘાંચીને આરોપી તરીકે પોલીસ મથકે જાણ કરી હતી. આથી પોલીસ કાર્યવાહી થવાની હોઇ આરોપીએ હાઇકોર્ટમાં સ્ટે માંગ્યો હતો. જેની સુનાવણીમાં હાઇકોર્ટે આરોપી આસિફ અહેમદભાઇ ઘાંચીને આગામી 3 જુલાઇ સુધી વચગાળાની રાહત આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ઓર્ડરમાં બે આરોપી પૈકી એક માત્રને રાહત હોવાથી અનિષાબેન આસિફભાઇ ઘાંચી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવાની પ્રબળ શક્યતા બની છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસ માટે ફરિયાદ સંદર્ભે કાયદેસરની પ્રક્રિયા અત્યંત મહત્વની બની છે. જેમાં વ્યવસાયે વકીલ અને ગેરકાનૂની રીતે મકાન સહાય કેસમાં આરોપી આસિફ અહેમદભાઈ ઘાંચીને પત્ની અનિષાબેન આસિફભાઇ ઘાંચીના ધરપકડના ભણકારા દોડધામ કરાવી શકે છે. આ તમામ ગતિવિધિને લઈ કાયદાનાં નિષ્ણાતો આગોતરા જામીન મૂકવાનો વિકલ્પ હોવાનું પણ માની રહ્યા છે.
પાલિકાના કર્મચારીએ હાઇકોર્ટનો આધાર લઇ પોલીસને કરી રજૂઆત
સરકારી સહાયમાં ખોટા કાગળો ઉભા કરવાના કેસમાં ફરીયાદી પાલિકાના કર્મચારીએ વધુ એક રજૂઆત આપી છે. હાઇકોર્ટના ઓરલ ઓર્ડરને પગલે પાલિકાના પ્રશાંત સોનીએ આરોપી અનેક ગુનાઓમાં હોવાથી તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. જેથી આવાસ યોજનામાં ફરીયાદી પાલિકા દ્રારા હાઇકોર્ટના આદેશ બાદ વધુ એક રજૂઆતને પગલે કાયદાકીય બાબત અત્યંત મહત્વની બની ગઇ છે.
સહાયના લાભાર્થી જોતાં સૌથી વધુ અસરકારક બની શકે
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)હેઠળ રાધનપુરમાં અનેક લાભાર્થીઓ અરજી કરી લાભ મેળવી ચૂક્યા છે. જેમાં 70 ટકાથી વધુ લાભાર્થીઓ છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર એક જ હપ્તો મેળવી શક્યા છે. આ 70 ટકાથી વધુ લાભાર્થીઓ સહાય બાબતે અનેક સવાલો ઉભા કરતા હોઇ નોટીસનો સામનો કરી રહ્યા છે. જો હજુ વધુ ગેરકાનૂની સહાયના કેસ સામે આવે તો ફરીયાદની શક્યતા જોતાં ખળભળાટ મચી ગયો છે.