કાર્યવાહી@બાયડ: અનુસુચિત સમાજની જાન પર પથ્થરમારાની ઘટનામાં તમામ આરોપી ઝબ્બે
અટલ સમાચાર ડોટ કોમ, બાયડ
બાયડ તાલુકાના ગામે અનુસુચિત જાતિ સમાજની જાન પર પથ્થરમારો કરવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. પરમદિવસે એટલે કે, મંગળવારે બપોરના સમયે ગામમાં અનુસુચિત જાતિના પરિવારની દીકરીના લગ્ન હોઇ ગામમાં જાન આવી હતી. આ દરમ્યાન ગામના કેટલાંક ઇસમોએ જાનના લોકોને જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાંક લોકો ઇજાગ્રસ્ત બન્યાં હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. જેને લઇ યુવકે 9 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં તમામને ઝડપી પાડ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામે મંગળવારે અનુસુચિત જાતિ સમાજની જાન પર પથ્થરમારાના ઘટના સામે આવી હતી. મંગળવારે ગામની અનુસુચિત જાતિ સમાજની દીકરીના લગ્ન હોઇ જાન આવી હતી. આ તરફ ગામના કેટલાંક માણસોએ જાન પર પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ ઇસમોએ જાનના માણસોને જાતિ વિષયક અપમાનિત કરી અને યુવકને ફેંટ પકડી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટનાને લઇ લીંબ ગામના અને હાલ અમદાવાદ રહેતાં હર્ષવર્ધન પરમારે 9 લોકો સામે ફરીયાદ નોંધાવી છે. લીંબ ગામની ઘટનાને લઇ SP સંજય ખરાત અને SC.ST સેલના DySp ની સુચનાને લઇ આંબલિયારા પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે 1 ઇસમને લીંબ ગામની સીમમાં રોઝડ તરફથી આવતાં રોડ પરથી અને અન્ય 8 ઇસમોને ગામની સીમમાંથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
આંબલિયારા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઇસમોને ઝડપી પાડ્યા
બાયડ તાલુકાના લીંબ ગામે મંગળવારે અનુસુચિત સમાજની જાન પર પથ્થરમારાની ઘટનામાં મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં SP સંજય ખરાત અને SC.ST સેલના DySp વી.એમ.રબારીની સુચનાની આબંલિયારા પોલીસે ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં PSI આર.એમ.ડામોર, ASI સબુરભાઇ, જીગરકુમાર, HC ઇલ્ફાનહુસેન, PC રાકેશકુમાર, રાજેશભાઇ અને શિવરામ સહિતનાએ ગણતરીના કલાકોમાં ઇસમોને ગામમાંથી ઝડપી પાડ્યા છે.
આરોપીઓ સામે રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરીયાદ નોંધાઇ હતી
મૂળ લીંબ ગામના અને હાલ અમદાવાદ રહેતાં હર્ષવર્ધન પરમારે 9 લોકો સામે આંબલિયારા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેમાં ઇસમોએ લોકોને ગાળો બોલી માથે ફેંટા નહીં બાંધવા, ગામમાં ડી.જે. સાઉન્ડ સાથે રાસગરબા નહી રમવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ આંબલિયારા પોલીસે કુલ 9 લોકોના નામજોગ આઇપીસી 143, 147, 149, 323, 337, 504, 506(2) અને અનુસુચિત જાતિ અને અનુ.જન.જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(y), 3(1)(za), 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધ્યો છે. જેમાં આરોપી તરીકે સંજયસિંહ બહેચરસિંહ ચૌહાણ, શૈલેષસિંહ દેવુસિંહ ચૌહાણ, હિતેશસિંહ બકુસિંહ દિલુસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ, સંજયસિંહ જીન્દુસિંહ ચૌહાણ, યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઇન્દ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ, વિજયસિંહ ભારતસિંહ ચૌહાણ અને માનસિંહ અદેસિંહ ચૌહાણ (તમામ રહે.લીંબ, તા.બાયડ, જી.અરવલ્લી)નો સમાવેશ થાય છે.