કાર્યવાહી@હિંમતનગર: લૂંટ વીથ મર્ડરના મુખ્ય આરોપીને LCBએ 4 પિસ્તોલ સાથે દબોચ્યો
અટલ સમાચાર, હિંમતનગર
ખેડબ્રહ્મામાં અગાઉ આંગડિયા પેઢીના કર્મચારીની હત્યા અને લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતાં મળી છે. સાબરકાંઠા LCBએ પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, હત્યા અને લૂંટના કેસનો મુખ્ય આરોપી મોતીપુરા સર્કલથી નીકળવાનો છે. જે આધારે વોચ ગોઠવી LCBએ આરોપીને ચાર પિસ્તોલ, સાત જીવતા કારતુસ સાથે બે લાખથી વધારેના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં અગાઉ બે લાખથી વધારેની લૂંટ કરી આંગડીયા પેઢીના કર્મચારીને મોતને ઘાટ ઉતારાયો હતો. જેમાં ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી તેઓ ફરાર થયા હતા. સાબરકાંઠા જિલ્લા પોલીસે 4000થી વધારે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલો ઉકલ્યો છે. પોલીસે ઝડપાયેલા શખ્સ સહિત કુલ છ શખ્સો વિરૂધ્ધ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરાવી રૂ.1.82 લાખનો મુદ્દામાલ કબજે લઇ તપાસ લંબાવી છે.
સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતુ કે, ખેડબ્રહ્મામાં આંગડીયા પેઢીનો એક કર્મચારી પોતાના થેલામાં કેટલીક રોકડ લઈને નીકળ્યો હતો. આ દરમ્યાન વાહનમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ કર્મચારી પર ફાયરીંગ કરી છરાના ઘા મારી રૂા.1,84,600ની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. જે ઘટના સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં હત્યા સાથે લૂંટનો ગુનો નોંધાયા હતો. જે બાદ સમગ્ર ઘટનાની તપાસ સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી.
આ તરફ LCBના PSI બી.યુ.મુરીમા, ASI નાથાભાઇ, રજુસિંહ સહિતની ટીમ રવિવારે પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે હિંમતનગરના મોતીપુરા સર્કલ પરથી ખેડબ્રહ્માના લૂંટ વીથ મર્ડરમાં સંડોવાયેલા આરોપી રોહિતસિંહ ઉર્ફે રણવીરસિંહ ઉર્ફે ભાણુભા કિરીટસિંહ ઝાલા (રહે.ધાંગધ્રા)ને દેશી બનાવટની ચાર પિસ્તોલ અને સાત જીવતા કારતુસ સાથે દબોચી લીધો હતો.