પ્રશ્ન@વિધાનસભા: ખાણ ખનીજની કાર્યવાહીને લઇ બેચરાજી MLAના સવાલોથી હડકંપ
અટલ સમાચાર, મહેસાણા
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મહેસાણા ખાણ ખનીજ વિભાગની કામગીરી અંગે સવાલો કરતા ખાણ ખનીજ વિભાગમાં હડકંપ મચી ગયો છે. તેમણે પુછયુ હતુ કે, ફલાઇંય સ્કવોર્ડ ઘ્વારા બે વર્ષમાં કેટલી વાર દરોડા પાડયા. તેના જવાબમાં જણાવાયુ હતુ કે, 01-06-2017 થી 31-05-2018 દરમિયાન એક વર્ષમાં કોઈ જ ચેકીંગ કરવામાં નથી આવ્યું.
મહેસાણા ખાણખનીજ વિભાગ છેલ્લા થોડા સમયથી રેતી ચોરી મામલે હરકતમાં આવ્યુ છે. પરંતુ ગુરૂવારે બેચરાજી ધારાસભ્યે વિધાનસભા સત્રમાં આ બાબતે સવાલો ઉઠાવતા ખાણખનીજ વિભાગના વહીવટી આલમમાં હડકંપ મચી ગયો છે. ભરતજી ઠાકોરના પ્રશ્નના ઉત્તરમાં જણાવાયુ હતુ કે, મહેસાણા જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં રેતી ચોરી મામલે માત્ર 55.60 લાખ દંડ આપવામાં આવ્યો છે.
બેચરાજી ધારાસભ્યના જવાબમાં વધુમાં જણાવાયુ હતુ કે, 01-06-2017 થી 31-05-2018 દરમિયાન એક વર્ષમાં કોઈ જ ચેકીંગ કરવામાં નથી આવ્યું. અને 01-06-2018 થી 31-05-2019 ના એક વર્ષના ગાળામાં માત્ર 55.60 લાખ દંડ આપવામાં આવ્યો છે. જોકે મહત્વની બાબત એ છે કે બે વર્ષમાં કોઇપણ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધવામાં નથી આવી.