વરસાદ@પાલનપુર: પાણી ભરાતા જનજીવન પર અસર, હાઇવે એકમાર્ગીય
અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)
પાલનપુરમાં ગત રાતથી શરૂ થયેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આબુરોડ તરફ જતા નેશનલ હાઇવે પર સાંઇબાબા મંદિર નજીક ઘૂંટણસમાં પાણી ભરાઇ જતાં વાહનો પણ અવરજવર બંધ થઇ જતા લોકો અટવાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં પાંચ ઇંચથી વધુ વરસાદને પગલે આબુરોડ તરફ જતો મુખ્ય હાઇવે પાણીથી અસરગ્રસ્ત બન્યો હતો. અત્યાર સુધી અહીં અંદાજિત પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેને પગલે પાલનપુર આબુરોડ નેશનલ હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા અને તેને લીધે એક તરફનો હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદથી રાજસ્થાન અને રાજસ્થાનથી અમદાવાદ તરફ જતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા. આ નેશનલ હાઇવે પર પાણી ભરાવાનો પ્રશ્ન વર્ષોથી છે. પરંતુ તેનો નિકાલ કરવામાં ન આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે હાલમાં તો નેશનલ હાઇવે ઓથોરિટી પાણીના નિકાલના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે નેશનલ હાઇવે એક તરફનો માર્ગ પાણી ભરાતા બંધ કરી હાઇવેના એક જ માર્ગ પર બંને તરફના વાહનો અવર જવર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બીજી તરફ પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાની બુમરાડ ઉઠી હતી. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઇ જતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે નગરપાલિકાની પ્રિ મોન્સુન પ્લાનની કામગીરીમાં પણ વ્યાપક ભ્રષ્ટાચારની રાવ ઉઠવા પામી છે.