રાહતઃ દેશમાં 83 દિવસ બાદ 50 હજારથી ઓછા કેસ, 587ના મોત
અટલ સમાચાર, ડેસ્ક
ભારતવાસીઓ માટે કોરોનાને લઈ 83 દિવસ બાદ થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 83 દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50 હજારથી ઓછી નોંધાઈ છે જ્યારે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાતા તે 500ની નજીક આવી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 46791 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 587 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 75,97,064 થઈ ગઈ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 67 લાખ 33 હજાર 329 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,48,538 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,197 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 19 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 9,61,16,771 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 10,32,795 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, 19મી ઑક્ટોબરે કોરોના વાયરસના 996 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1147 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 8 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1,60,722એ પહોંચી ગયો છે.