રીપોર્ટ@બનાસકાંઠા: ટેકાના ભાવે મગફળી વેચવા 14માંથી 4 કેન્દ્ર પર માત્ર 4 જ ખેડૂતો આવ્યાં
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
કોરોના મહામારી વચ્ચે આખરે આજે બનાસકાંઠા જીલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જોકે સૂત્રોનું માનીએ તો કોઇ કારણસર જીલ્લાના 14 ખરીદી કેન્દ્રમાંથી માત્ર 4 કેન્દ્રો ઉપર જ ખેડૂતો વેચાણ કરવા આવ્યા હતા. એમાં માત્ર ચાર ખેડૂતો આવતાં અનેક સવાલો ઉભા થયા છે. આ તરફ માર્કેટયાર્ડના ઓપન માર્કેટમાં ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતાં હોવાથી ખેડૂતો ત્યાં વેચાણ કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લામાં આજથી સરકાર દ્રારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આ તરફ આજે જીલ્લાના 14 ખરીદી કેન્દ્રમાંથી માત્ર4 કેન્દ્રો ઉપર જ 4 ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા હતા. જિલ્લામાં આજે 4 ખેડૂતોની 140 મણ મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ તરફ દિયોદર માર્કેટયાર્ડમાં જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે માર્કેટયાર્ડમાં એકપણ ખેડૂત મગફળી લઇને પહોંચ્યા ન હતા.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દિયોદર માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે હેન્ડ સેનિટાઇઝ તેમજ થર્મલ/સ્ક્રિનિંગની પણ વ્યવસ્થા કરાઇ છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે 1055 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે. જોકે દિયોદર માર્કેટયાર્ડમાં ખેડૂતોને 1100 રૂપિયા કરતા વધારે ભાવ મળી રહ્યો છે. જેને લઇને ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોને ઓપન માર્કેટમાં સારો ભાવ મળતાં ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોની ઉદાસીનતા જોવા મળી રહી છે.