રીપોર્ટ@બનાસકાંઠા: શૌચાલયોમાં ચુકવણું અ-પારદર્શક, નિયામકની ભુમિકા ?
અટલ સમાચાર, ગીરીશ જોશી
બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાબા હેઠળની આઇઆરડી ભયંકર વિવાદો વચ્ચે આવી છે. અંતરીયાળ તાલુકાઓમાં શૌચાલયો સામે થયેલું ચુકવણું અ-પારદર્શક હોવાના સવાલો મજબૂત બની રહ્યા છે. ડીસા-લાખણી-વાવ-સુઇગામ સહિતના તાલુકાઓમાં મોટોપાયે ઠેકો લેનાર સખીમંડળોને થયેલું ચુકવણું પારદર્શક વહીવટની ખાત્રી કરાવવામાં નિષ્ફળ ગયુ છે. મોટાભાગની ફરીયાદ હાલના SBM (D.C) અને નિયામકના કાર્યકાળમાં સામે આવી છે. જેનાથી “વહીવટ” સામે ચિંતાજનક સ્થિતિ બની છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લામાં યુધ્ધના ધોરણે શૌચાલયો ઉભા કરવાની કામગીરી બાદ ચુકવણાંની પ્રક્રીયા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અનેક તાલુકાઓમાંથી વિવિધ વર્ગની થોકબંધ ફરીયાદો અને માહિતી અરજીઓ આવી છે. ડીસા તાલુકામાં કાગળ ઉપરના શૌચાલયોનું કૌભાંડ અને તેની કાર્યવાહી સામે વાવ અને લાખણી તાલુકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની બુમરાડ મચી છે. રજૂઆત અને ફરીયાદોને ગંભીરતાથી લેવામાં નહિ આવતા તપાસ અને તેના સત્તાધિશોની ભુમિકા પણ અ-પારદર્શક બનતી જાય છે.
સમગ્ર મામલે નિયામક વાળા સાથે વન-ટુ-વન ઇન્ટરવ્યું અટલ સમાચાર ડોટ કોમ દ્રારા લેવામાં આવ્યુ છે. અડઘો કલાકના સવાલ-જવાબમાં મોટોભાગે પોતાની કુશળતાનું રટણ કરે છે. જેનાથી રજૂઆત અને ફરીયાદોમાં તપાસ અને નિર્ણયની બાબતે બચી રહ્યા હોવાનું સ્પષ્ટ થયુ છે. આ દરમ્યાન હાલના SBM (D.C) મહેન્દ્ર પરમારની ભુમિકા અને કાર્યશૈલી વિશે સવાલો કરતા ચિંતા વ્યક્ત કરી હતી. મહેન્દ્ર પરમાર થોકબંધ ફરીયાદોથી બચાવ લેવા બદલી માંગી રહ્યા છે ? આ સવાલના જવાબમાં નિયામકે મંજુરી અટકાવી હોવાનું જણાવ્યુ હતુ.
સખીમંડળોના નામે કોણ લાભ મેળવી ગયું ?
શૌચાલય યોજનામાં નાણાં સીધા લાભાર્થીના ખાતામાં જમા થતાં હોવાનો નિયમ હોવા છતાં કૌભાંડની સનસનીખેજ ફરીયાદો છે. જેનાથી પારદર્શક યોજનામાં પણ કૌભાંડ કરી ભેજાબાજો રોકડી કરતા હોવાનો સવાલ આવ્યો છે. શૌચાલય યોજનામાં ઠેકો આપવાની ફરજીયાત જોગવાઇ ન હોવા છતાં બનાસકાંઠા જીલ્લામાં હજારો શૌચાલય સખીમંડળ દ્રારા ઉભા થયા છે. જેમાં સખીમંડળોના નામે કથિત કસુરવારો સંબંધિતો સાથે મળી લાખો-કરોડોની રોકડી કરી રહ્યા હોવાનું દ્રશ્ય વાવ તાલુકા પંચાયત પ્રમુખની ફરીયાદથી સામે આવ્યુ છે.
કરાર આધારિત કર્મચારીઓની ભુમિકા શંકાસ્પદ, તપાસ અન્ય કર્મચારીઓને આપી
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં શૌચાલય સહિતના કરાર આધારિત કર્મચારીઓની ભુમિકા વારંવાર સવાલોની વચ્ચે રહે છે. આવી પરિસ્થિતિની વચ્ચે નિયામક વાળાએ એક તપાસ વોટરશેડ યુનિટના કર્મચારીઓને આપી હોવાનું સ્વિકાર્યુ છે. આ તમામ ગતિવિધિ વચ્ચે બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો વહીવટ વધુ પારદર્શક બનવાને બદલે અ-પારદર્શક થતો હોવાની સ્થિતિમાં વહીવટી સુધાર જરૂરી બન્યો છે.