રીપોર્ટ@બેચરાજીઃ મનરેગામાં ધનાઢ્યને લેબર બનાવી પૈસા ઉભા કર્યાની રજૂઆત
અટલ સમાચાર,મહેસાણા
બેચરાજી તાલુકાના ગામે મનરેગા યોજના હેઠળ ગેરરિતી થઇ હોવાની ગંભીર રજૂઆત થઇ છે. સરપંચ અને તલાટી વિરુદ્ધ ગામલોકોએ મોટી સંખ્યામાં સહિ સાથે જિલ્લા તંત્રને તપાસ કરવા રજૂઆત કરી છે. જેમાં ધનાઢ્ય ગામમાં વર્ષોથી ન રહેતા હોય તેવા અને કેટલાક આગેવાનોને મજૂર તરીકે બતાવી મોટી કટકી કરી હોવાની બુમ મચી છે. અનેક શંકાસ્પદ જોબકાર્ડ ધારકોના નામો આધારે મનરેગા હેઠળ સરપંચ અને તલાટીએ ભેગા મળી કૌભાંડ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના એદલા ગામે મનરેગા કૌભાંડની ચકચાર મચી છે. 100થી વધુ સંખ્યામાં સહિઓ કરી ગામલોકોએ સત્તાધીન સરપંચ ,સભ્યો અને તલાટી વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી છે. જેમાં રસ્તો બનાવવામાં માટીકામે જોબકાર્ડ ધારકો સરપંચના લાગતા વળગતા હોવાની કાગળો આધારે રજૂઆત મુકી છે.
જેમાં સરપંચનો ભત્રીજો, સરપંચના ભાઇ, ભાભી, પિતાજી, પત્ની, કાકા ,કાકી સહિતના વ્યક્તિઓનું જોબકાર્ડ બનાવી પેમેન્ટ કર્યુ હોવાની વિગતો રજૂ કરી છે. આ સાથે કેટલાક ધનાઢ્ય વ્યક્તિ પણ જોબકાર્ડ આધારે મંજૂર બનાવ્યા હોવાની રજૂઆત કરી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેટલાક વ્યક્તિઓ ગામમાં વર્ષોથી રહેતાં નથી છતાં જોબકાર્ડ બનાવ્યા, કેટલાકને પેમેન્જ નથી મળ્યુ, કેટલાક સ્થાનિક આગેવાન છતાં જોબકાર્ડ ધારક બન્યા તે બાબતે સૌથી મોટા સવાલો ઉભા થયા છે.
સમગ્ર મામલે બેચરાજી તાલુકા પંચાયતની મનરેગા શાખાના એપીઓને પુંછતા જણાવ્યુ હતુ કે, રજૂઆત આધારે તપાસ ચાલી રહી છે. સંબંધિત જોબકાર્ડ ધારકોના નિવેદનો લેવાઇ રહ્યા હોઇ તપાસ પ્રક્રિયા હેઠળ છે. આ તરફ એદલા સરપંચએ ખોટા આક્ષેપો હોવાનું જણાવ્યુ હતું.