રિપોર્ટ@ભિલોડા: નિગમના સત્તાધીશોની વહીવટી સમજને લીધે “ન્યાય અધ્ધરતાલ”
અટલ સમાચાર, ગિરીશ જોશી ભિલોડા તાલુકાના ગામે બનાવટી કાગળો આધારે લોન લીધી હોવાની રજૂઆત થઈ હતી. જેમાં અનુસુચિત વિકાસ નિગમ સામે જામીનગીરી શંકાસ્પદ હોવાનો આક્ષેપ થયો હતો. આથી લોનના અરજદારને પૂછતાં જામીન હેઠળની ખેતીલાયક જમીન બદલી દેવા તૈયારી બતાવી હતી. જોકે આ પછી નિગમના અધિકારીઓની વહીવટી સમજ શંકાસ્પદ બની છે. જેનાથી પિડીત માટે ન્યાય અધ્ધરતાલ
Jan 21, 2020, 11:38 IST
અટલ સમાચાર, ગિરીશ જોશી
ભિલોડા તાલુકાના ગામે બનાવટી કાગળો આધારે લોન લીધી હોવાની રજૂઆત થઈ હતી. જેમાં અનુસુચિત વિકાસ નિગમ સામે જામીનગીરી શંકાસ્પદ હોવાનો આક્ષેપ થયો હતો. આથી લોનના અરજદારને પૂછતાં જામીન હેઠળની ખેતીલાયક જમીન બદલી દેવા તૈયારી બતાવી હતી. જોકે આ પછી નિગમના અધિકારીઓની વહીવટી સમજ શંકાસ્પદ બની છે. જેનાથી પિડીત માટે ન્યાય અધ્ધરતાલ બની ગયો છે.
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ભૂતાવડ ગામે પરમાર ભરત કોદરભાઇ નામના વ્યક્તિએ અનુસુચિત જાતિ વિકાસ નિગમની હિંમતનગર કચેરીમાં લોન અરજી કરી હતી. જેમાં ગામના સોલંકી બાબુભાઈ હરખાભાઇની જમીન તારણમાં આપી છે. જેની જાણ જમીનમાલિક બાબુભાઈને થતાં છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નિગમ અને પોલીસ મથકે આપી હતી. જેની તપાસમાં ભિલોડા પોલીસ છેલ્લા કેટલાય મહિનાઓથી નક્કર પરિણામ મેળવવા નિષ્ફળ ગઈ છે. આ તરફ નિગમના અધિકારી અગ્રવાલે લોનના અરજદારને પૂછતાં તાત્કાલિક તારણની જમીન બદલવા સ્વિકાર કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, લોન અરજદારે જામીનગીરી બદલતાં પહેલાં હપ્તા ભરવાના હોઇ ચેક આપ્યો છે. આ બાબતે તપાસ કરતાં જામીનગીરી બદલવાની ગતિવિધિમાં નાટક થયું હોવાનું સામે આવ્યું છે. લોન અરજદારે ચેકમાં તારીખ ખૂબ જ પાછળની આપી છે. આથી તાત્કાલિક હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે. આ સાથે હિંમતનગરના અધિકારીએ આખી ફાઈલ ગાંધીનગર મોકલી હોઇ વહીવટી સમજ શંકાસ્પદ બની છે.
નિગમના મેનેજર અગ્રવાલે જણાવ્યું હતું કે, હપ્તા બાકી હોય ત્યારે જામીનગીરી બદલવાનો અધિકાર મેનેજીંગ ડિરેક્ટરને હોય છે. જ્યારે આ તરફ ગાંધીનગર સ્થિત નિગમના એકાઉન્ટ ઓફિસર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હિંમતનગરના મેનેજર ગેરમાર્ગે દોરી રહ્યા છે. જામીનગીરી બદલવાનો અધિકાર તેમની પાસે હોવા છતાં ગાંધીનગર મોકલી વિલંબ કરી રહ્યા છે. આથી આ બાબતે એમડીને નોંધ મૂકી જણાવવામાં આવશે. હવે સૌથી મોટી વાત છે કે, આ સમગ્ર ગતિવિધિને કારણે લોનમાં ફ્રોડ થયાની રજૂઆત કરેલ પિડીત પરિવારને ન્યાય અધ્ધરતાલ બની ગયો છે.