રીપોર્ટ@લીંબડી: અનુસૂચિત જાતિના યુવકોને માર માર્યો, PSI ધરપકડથી બચવા ભૂગર્ભમાં
અટલ સમાચાર,સુરેન્દ્રનગર
કોરોના મહામારી વચ્ચે આશરે 15 દિવસ પહેલા લીંબડી પોલીસ મથકના પી.એસ.આઈ સામે ત્રણ અનુસૂચિત જાતિના યુવકોને માર મારવાના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 15 દિવસ થવા છતાં આ મામલે પી.એસ.આઈની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ પી.એસ.આઈ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પી.એસ.આઈની ધરપકડની માંગ સાથે આજે અનુસૂચિત જાતિના અગ્રણીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરેન્દ્રનગરના લીંમડી પોલીસ મથકના પીએસઆઇ વિરૂધ્ધ આજે બાબા સાહેબની પ્રતિમા સામે અનુસૂચિત જાતિના અગ્રણીઓ તરફથી ધરણા કાર્યક્રમ અને પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સમાજના અગ્રણીઓના કહેવા પ્રમાણે આ મામલે ડીવાયએસપીથી લઈને ડીજી સુધી રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે જો પી.એસ.આઈ સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ કેસમાં પી.એસ.આઈને સસ્પેન્ડ કરીને તેની ધરપકડ કરવાની માંગ ઉઠી છે.
સમગ્ર મામલે લીંબડીના દલિત નેતા ખુશાલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, “પાંચમી તારીખે સમાજના ત્રણ દીકરાઓને પી.એસ.આઈ સંજય વરુએ બેફામ માર માર્યો હતો. તેમની પાસે દારૂ કે કોઈ વસ્તુ મળી ન હતી. ત્રણેયને એટલો માર મારવામાં આવ્યો હતો કે તમામને પાંચ દિવસ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અમારી માંગણી છે કે, પી.એસ.આઈની ધરપકડ કરવામાં આવે. આ માટે અમે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આ મુદ્દાને છોડીશું નહીં. ધરપકડ નહીં થાય તો અમે ઉગ્ર કાર્યક્રમ આપીશું.”
શું હતી સમગ્ર ઘટના ?
દાખલ થયેલી ફરિયાદ પ્રમાણે પીએસઆઈ વરુએ દારૂ કેસમાં પકડેલા ફરિયાદીને ઓફિસમાં બોલાવીને જાતિ વિષયક શબ્દો કહ્યા હતા. આ દરમિયાન આરોપીને પોલીસે પટ્ટા વડા હાથ, પગ તથા બરડામાં માર માર્યો હતો તેમજ ઢીકાપાટુંનો માર પણ માર્યો હતો. આ મામલે પ્રકાશભાઈ જીવણભાઈ ચાવડા તરફથી લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે કે, “હું મજૂરી કામ કરીને મારૂ તથા મારા પરીવારનું ગુજરાન ચલાવું છુ. મારા પરીવારમાં હું તથા મારા પપ્પા જેરામભાઇ તથા મમ્મી બાલુબેન તથા ભાઇ દીપક તથા ભાભી મીનાબેન તથા મારો ભત્રીજો જાસ્મીન તથા ભત્રીજી સાથે રહું છું. તા. 05/09/2020ના રોજ સાંજના આશરે એક વાગ્યાના અરસામાં લીંબડી નાનાવાસના નાકે આવેલી હનુમાનજીની ડેરી પાસે પોલીસે રેઇડ કરતા તેમાં પોલીસે મને દેશી દારૂ સાથે પકડી લીધો હતો. બીજા બે લોકો કે જેમાં દેવરાજભાઇ વશરામભાઇ ચાવડાને, હસમુખભાઇ ચમનભાઇ ચાવડાને પણ પોલીસે પકડી લીધા હતા. જે બાદમાં પોલીસે ત્રણેયને લીંબડી પોલીસ સ્ટેશને લઇ ગઈ હતી. અહીં પોલીસે મારા ઉપર દારૂ વેચવાનો કેસ કર્યો હતો. બાકીના બંને દેવરાજભાઇ તથા હસમુખભાઇ ઉપર દારૂ પીવાના કેસ કર્યો હતો. જે બાદમાં અમે ત્રણેય જણા લીંબડી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. જે બાદમાં સાહેબે મને તેમની ઓફિસમાં પૂછપરછ માટે અંદર બોલાવ્યો હતો અને મને જાતિ વિષયક શબ્દો કહીને સાલાઓ દારૂ વેચો છો અને દારૂ પીવો છો કહી પટ્ટા વડે બંને હાથે, બંને પગે, બરડામાં વગેરે જગ્યાએ શરીર માર માર્યો હતો. મારા બાદ અન્ય બે લોકોને માર માર્યો : “માર માર્યા બાદ મને લોકઅપ પાસે બેસાડ્યો હતો અને મારી સાથેના બીજા બંને લોકોને વારાફરી સાહેબે ઓફિસમાં બોલાવીને પૂછફરછ કરી હતી. અંદર શું બન્યું હતું તેની મને ખબર નથી. જે બાદમાં અમને ત્રણેયને લોકઅપમાં પૂરી દીધા હતા. થોડીવાર પછી સાહેબે મને ફરીવાર લોકઅપમાંથી બહાર કાઢી તેમની ઓફિસમાં બોલાવ્યો હતો અને ઢીંકાપાટુનો માર માર્યો હતો.” નોંધનીય છે કે પીએસઆઈ તરફથી માર મારવામાં આવ્યા બાદ ત્રણેય યુવકને સારવાર માટે લીંબડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.