રીપોર્ટ@દેશ: PM મોદીએ કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પીએમ મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થવાના ખુશખબર આપ્યા. તેમણે ઓપરેશન સિંદૂર, સ્ટાર્ટ-અપ્સથી લઈને વોકલ ફોર લોકલ સુધીની અસરનો પણ ઉલ્લેખ કર્યો અને તેલંગાણાના 'સ્કાય વોરિયર્સ'ના અદ્ભુત કૌશલ્યની પ્રશંસા કરી. તેમણ કહ્યું કે, ‘હું સિંહો સંબંધિત એક ખૂબ જ સારા સમાચાર શેર કરવા માંગુ છું. છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતના ગીરમાં સિંહોની વસ્તી 674 થી વધીને 891 થઈ ગઈ છે. સિંહ ગણતરી પછી જાહેર થયેલી સિંહોની આ સંખ્યા ખૂબ જ પ્રોત્સાહક છે. તમારામાંથી ઘણાં લોકો જાણવા માંગશે કે આ પ્રાણી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. આ કવાયત ખૂબ જ પડકારજનક છે.’
સિંહોની વસતી ગણતરીની વાત કરતા તેમણે કહ્યું કે, ‘તમને જાણીને આશ્ચર્ય થશે કે સિંહોની ગણતરી 11 જિલ્લામાં, 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવી હતી. વસ્તી ગણતરી માટે, ટીમોએ આ વિસ્તારોનું ચોવીસ કલાક નિરીક્ષણ કર્યું હતું. આ સમગ્ર અભિયાનમાં ચકાસણી અને ક્રોસ વેરિફિકેશન બંને કરાયા હતા. આનાથી સિંહોની ગણતરી અત્યંત ચોક્સાઈ સાથે પૂર્ણ થઈ શકી. એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો દર્શાવે છે કે જ્યારે સમાજમાં માલિકીની ભાવના મજબૂત હોય છે ત્યારે કેટલા અદ્ભુત પરિણામો પ્રાપ્ત થાય છે.’
ગીરની પરિસ્થિતિને પડકારજનક ગણાવતા તેઓએ કહ્યું કે, ‘થોડા દાયકા પહેલા ગીરની પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. પરંતુ ત્યાંના લોકોએ પરિવર્તન લાવવા માટે પહેલ કરી. નવીનતમ ટેકનોલોજીની સાથે, ત્યાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પણ અપનાવવામાં આવી. આ સમય દરમિયાન, ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને વન અધિકારીના પદ પર મોટા પાયે તૈનાત કરવામાં આવી હતી. આ બધાએ આજે આપણે જે પરિણામો જોઈ રહ્યા છીએ તેમાં ફાળો આપ્યો છે. વન્યજીવ સંરક્ષણ માટે, આપણે હંમેશા આ રીતે જાગૃત અને સતર્ક રહેવું પડશે.’પીએમ મોદીએ મન કી બાતના 122મા એપિસોડની શરૂઆત ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરીને કરીને તેમણે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર ફક્ત એક સૈન્ય મિશન નથી, તે આપણા સંકલ્પ, હિંમત અને બદલાતા ભારતનું ચિત્ર છે અને આ ચિત્રે આખા દેશને દેશભક્તિની લાગણીઓથી ભરી દીધો છે અને તેને ત્રિરંગામાં રંગી દીધો છે.’