રીપોર્ટ@પાટણ: કલેક્ટરના હસ્તે શિક્ષણ સહાયક તરીકે 58 ઉમેદવારોને નિમણુંકપત્રો અપાયા
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
કોરોના કહેર વચ્ચે આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા શિક્ષણ સહાયકોને નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 15 તથા બી.ડી.સાર્વજનિક વિદ્યાલય ખાતે 43 મળી કુલ 58 ઉમેદવારોને શિક્ષણ સહાયકો તરીકેના નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ પ્રસંગે ઈ-માધ્યમથી જોડાયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, શાળાઓ બંધ છે પણ શિક્ષણ નહીં. કોવિડ મહામારી દરમ્યાન પણ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી મુશ્કેલી ન અનુભવાય તે માટે રાજ્ય સરકારે સતત પ્રયત્નો કર્યા છે. આ વર્ષે ફેસલેસ અને પેપરલેસ પ્રક્રિયા દ્વારા પારદર્શક ભરતી થકી કારકિર્દી બનાવનાર શિક્ષણ સહાયકોનું લક્ષ્ય ભારત આત્મનિર્ભર બને, વિશ્વગુરૂ બને, આપણી વિરાસત ઉજાગર થાય તે દિશામાં પ્રયત્નો કરી વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર દ્વારા નવીન પડકારો ઝીલી શકે તેવા સક્ષમ બનાવવાના છે.
શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીમાં શિક્ષકોએ ઑનલાઈન શિક્ષણના પડકારોની વચ્ચે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના જ્ઞાનની સાથે સાથે મૂલ્યો પણ શિખવવાના છે. બાળકો માટે મહેનત અને ધગશથી કામ કરી સુચારૂ શિક્ષણ આપવા શિક્ષકોએ કાર્યરત થવાનું છે. રાજ્ય સરકારનો આભાર માનતા શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા આશિષ પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોનાની આ સ્થિતિમાં ભરતી આવશે કે કેમ અને આવશે તો કઈ રીતે ભરતી કરવામાં આવશે એવી ગડમથલ સતત મનમાં રહેતી. પરંતુ રાજ્ય સરકારના સુચારૂ વહિવટના પરિણામે ફોર્મ ભરવાથી લઈ નિમણૂક સુધી ઑનલાઈન પ્રક્રિયા કરવામાં આવી. આ કપરાકાળમાં પણ શિક્ષણ અને શિક્ષકોની ભરતીની ચિંતા કરી પારદર્શક ભરતી પ્રક્રિયાના અંતે નિમણૂક આપવા માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું.
નોંધનિય છે કે, ધો.10માં માસ પ્રમોશનના કારણે ધો.11માં આવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શિક્ષકોની ઘટ ન પડે તે માટે રાજ્યભરમાં 2,938 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકોએ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટેનીકાર્યદક્ષતા અને ફરજપરસ્તીના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરી, શિક્ષણ નિરિક્ષક જયરામભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓ તથા શિક્ષણ સહાયક માટે પસંદગી પામેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.