રીપોર્ટ@રાધનપુર: રાષ્ટ્રીય હાઇવે પર સુરક્ષા તૂટી, ભયંકર ખાડાં ફરતે રાઉન્ડ નથી
અટલ સમાચાર, રાધનપુર
રાધનપુરથી કચ્છ તરફ જતો હાઇવે છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત જર્જરીત બની ગયો છે. અનેક જગ્યાએ ભયંકર ખાડાંઓ તેમજ સળીયાં દેખાતાં હોઇ સડક સુરક્ષા સામે જોખમ ઉભુ થયુ છે. નેશનલ હાઇવે હોવા છતાં ખાડાંઓ ફરતે ઓળખ સમાન સફેદ રાઉન્ડ પણ કરવામાં આવ્યુ નથી. બાઇકથી માંડી કારચાલક સુધીના અને માલવાહક ગાડીઓ રીતસર ખાડાઓમાં પછડાઇ રહી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય હાઇવે વાહન અને વાહનચાલકને સુરક્ષાની જગ્યાએ પરેશાની આપી રહ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર-સાંતલપુર-કચ્છ હાઇવે ચોમાસાંના ભારે વરસાદને કારણે જર્જરીત બન્યો છે. અત્યંત ઝડપથી રીપેર કરવાની કામગીરી નહી થતાં રોજીંદા સ્વરૂપે ચાલતાં વાહનો અને અજાણ્યા વાહનચાલકો જોખમ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી પસાર થઇ રહ્યા છે.
માત્ર રાધનપુરથી સાંતલપુર વચ્ચે 200થી વધુ ખાડાંઓ પડી જતાં નેશનલ હાઇવે જાણે ગ્રામ્ય રોડ જેવો બની ગયો છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પડેલાં ખાડાંઓ દૂરથી દેખાય તે માટે તેની ઓળખ પણ કરવામાં આવી નથી. એટલે કે ખાડાં ફરતે સફેદ કલરનું માર્કિંગ કરવામાં નહી આવતાં વાહનચાલકોને અકસ્માતની ભીતિ રહે છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર-કચ્છ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત જોતાં આંતરરાષ્ટ્રિય સડક સુરક્ષાના માપદંડો ધ્વસ્ત થયા છે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરીટીના પવન ગર્વેએ જણાવ્યુ હતુ કે, જો ચાર-પાંચ મહિનાના લાંબા અંતરાલે રીપેરીંગ કામ કરવામાં આવે તો જ ખાડાં ફરતે રાઉન્ડ કરવામાં આવે છે. આ સાથે ચારથી પાંચ ટીમ લગાવી સરેરાશ ૪૦ કિલોમીટરનો હાઇવે કવર કરી રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ જવાબની સામે સવાલ ઉભો થાય છે કે, ખાડાં પડ્યા ત્યાંથી રીપેરીંગ થવા સુધીના દિવસોમાં કેમ વાહનચાલકોને ખાડાં બાબતો જાગૃત ન કરી શકાય ?
નેશનલ હાઇવે ઓથોરીટી સામે ઉભા થતાં સવાલો
- હાઇવે પર ખાડાં હોવાથી સફેદ કલરનું માર્કિંગ કેમ નથી કરવામાં આવ્યું ?
- જ્યાં વધારે પ્રમાણમાં ખાડાં છે ત્યાં તોતિંગ બોર્ડ લગાવી વાહનચાલકોને જાગૃત કેમ નથી કર્યા ?
- રીપેરીંગ પુર્ણ ના થાય ત્યાં સુધીના દિવસોમાં જો ખાડાંઓને કારણે અકસ્માત થાય તો જવાબદારી કોની ?
- નેશનલ હાઇવે જર્જરીત થતાં સડક સુરક્ષા સંપૂર્ણ ન હોવાથી વાહનચાલકોને જોખમ કેમ ?