રીપોર્ટ@સુઇગામ: કેનાલમાં છાશવારે ગાબડાં, કામગીરીમાં પારદર્શકતા ધ્વસ્ત
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠાના અલગ-અલગ વિસ્તારોમાં વારંવાર નર્મદા કેનાલો તુટી રહી છે. ગઇકાલે અચાનક મોટું ગાબડું પડવાને કારણે ખેડૂતના ખેતરમાં ઉભો પાક યુવાનીએ પહોંચે તે પહેલા મૃતપ્રાય હાલતમાં આવ્યો છે. કેનાલોની જાળવણી અને સમયાંતરે થતાં રીપેરીંગમાં ભયંકર હદે લાલિયાવાડી થતાં હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. પોષતું તે મારતું કહેવતની જેમ નર્મદાનું પાણી લાભકારકની સામે કેનાલ તુટવાલો સિલસિલો ખેડૂતોને ભારે પડી રહ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો હવે બેફામ ગતિએ આવ્યો છે. ગઇકાલે સુઇગામની માધુપુરા-મસાલી કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતાં નજીકના કૃષિપાકને નુકશાન પહોંચ્યું હતુ. કેનાલની એકદમ મજબૂત ગુણવત્તા અને પારદર્શકતા ધ્વસ્ત થતી હોઇ ગાબડાં સામે આવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે, નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કેનાલ નેટવર્ક બાબતે દેખરેખ અને નિયમન જાળવવા આંખ આડા કાન કરી રહ્યા છે. સંપૂણ સાફ-સફાઇ પહેલાં કેનાલમાં તિવ્ર ગતિએ પાણી આવતું હોઇ વારંવાર ગાબડાં પડી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, શુક્રવારે રઘુભાઇ હેમાભાઇ સુથારની 6 એકર જમીનમાં બાજરી અને જુવારના ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતુ. જેનાથી પાણીના વેડફાડ સાથે કૃષિપાક મરણપથારીએ ગયો છે. વિસ્તારના કેનાલ રીપેરીંગ અને રખરખાવની જવાબદારી મેળવતાં ઠેકેદાર અને તેમની એજન્સી બાબતે નર્મદા અધિકારીઓ પારદર્શકતા સિધ્ધ નહિ કરતાં ખેડૂત આલમમાં નારાજગી વધી રહી છે. જેના કારણે નિગમનું નેટવર્ક અને તેના સત્તાધિશો ગંભીર સવાલો વચ્ચે આવ્યા છે.