રીપોર્ટ@સુઇગામ: નીચા ઉત્પાદન અને શોષણથી ખેતમજૂરોની હાલત દયનિય
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
સુઇગામ પંથકમાં ખેત ઉત્પાદનમાં વારંવાર ફટકો આવતાં ખેડુતોની આર્થિક સ્થિતિ નાજુક બનતી જાય છે. જેમાં સૌથી વધુ અસર ખેતરમાં પાક લહેરાવવા રાત-દિન એક કરતાં ખેતમજુરોની હાલત અત્યંત દયનિય હોવાનું સામે આવ્યુ છે. ખેતમાલિકો ખર્ચ સામે ઉત્પાદન મેળવવા મથી રહ્યા છે ત્યારે, વાતાવરણથી સામે આવતી મુશ્કેલી ખેતમજૂરોને મોટો ઝાટકો આપી રહી છે. આ દરમ્યાન મજૂરી સામે સરકારી નિયમો અધ્ધરતાલ રહેતાં શોષણનું ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. એક અભ્યાસ મુજબ ખેતમજૂરો આખા વર્ષાની મહેનત સામે 25,000ની પણ બચત કરી શકતા નથી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ, વાવ અને ભાભર તાલુકામાં ખેતમજૂર વર્ગની સ્થિતિમાં છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી કોઇ સુધાર આવ્યો નથી. ખાસ કરીને સુઇગામ તાલુકામાં મોટાભાગના ખેડુતો ગામના કે બાજુના ગામના ભાગિયાને રાખી ઉત્પાદન લઇ રહ્યા છે. ખેતમાલિકોને કૃષિ ઉત્પાદન દરમ્યાન વાતાવરણનો ફટકો પડી રહ્યો છે. આ સાથે કૃષિ ઉત્પાદન તબક્કાવાર મોંઘુ થયુ છે. જેની સામે ઉત્પાદનમાં ગિરાવટ રહેતા ખુદ ખેતરમાલિકો આર્થિક સ્થિતિ મજબૂત કરવા નિષ્ફળ જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ખેતમજૂરોની હાલત કલ્પના કરતા ધ્રુજારી અને કંપારી છુટી જાય તેવી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પંથકના મોટાભાગના રહીશો માત્ર ખેતીકામથી ખેડુત હોવાની ઓળખ લઇ રહ્યા છે. હકીકતે ગામના મોટા ખેડુત ખાતેદારની ત્રીજા કે ચોથા ભાગની જમીન વાવેતર માટે રાખી ઉત્પાદન મેળવવા મથી રહ્યા છે. ખેતમજૂરો અને ખેડુત વચ્ચેના એમઓયુ તદ્દન ગામઠી અને કાગળ ઉપર ઉલ્લેખ વગરના હોય છે. બંને વચ્ચેના એમઓયુનો સૌથી વધુ આધાર પાક ઉત્પાદન ઉપર જાય છે. જેમાં ખર્ચાળ ખેતી અને ઉત્પાદનમાં ઘટાડો રહેતા ખેડુતની સામે ખેતમજૂરોની હાલત અત્યંત દયનિય બની રહી છે.
ખેતમજૂરો માટે મજબૂત યોજનાનો અભાવ
દેશભરના કામદારો અને મજૂરો માટે અનેક જોગવાઇઓ અને યોજનાઓ છે. તેના પાલન માટે પણ સરકારી યુનિટો છે. જ્યારે ખેતમજૂરો માટે આંગળીના વેઢે ગણાય તેટલી અને એકદમ નાના કદની યોજનાઓ છે. જેની ખેતમજૂરોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા નહિવત્ અસર થઇ રહી છે. આ સાથે ખેતમજૂરો માટે લઘુત્તમ વેતન સહિતનું પાલન વર્ષોથી અધ્ધરતાલ રહ્યુ છે. પંથકમાં ખેડુતો ઘણા સમયથી સરકાર સામે રજૂઆતકર્તા છે ત્યારે ખેતમજૂરોની હાલત અતિનાજૂક છે.
સૌથી વધુ ચોંકાવનારી હકીકત સમજો
ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને પગલે ખેડુતોને પાક ઉત્પાદનમાં નિષ્ફળતા મળે છે. આવી સ્થિતિમાં ખેતમજૂરોની મજૂરી પણ નિષ્ફળ જતી હોઇ હાલત કફોડી બને છે. હવે જ્યારે ખેડુતોને પાક નુકશાની સામે પેકેજ જાહેર થાય ત્યારે ખેતમજૂરોને સહાય બાબતે આઝાદ ભારતથી અત્યાર સુધી કોઇ જોગવાઇ થઇ નથી. આખુ વર્ષ મહેનત કરવા છતાં જો પાક નિષ્ફળ જાય તો ખેડુતોને સહાય મળે જ્યારે ખેતમજૂરોને મજૂરી રામભરોસે ગણી ભૂલવી પડે તેવી નોબત છે.