ઘટસ્ફોટ@રાધનપુર: ચેરમેન વિરૂધ્ધની દરખાસ્તમાં સહી છેતરીને કરાવી લીધી
અટલ સમાચાર, ગિરીશ જોશી
રાધનપુર નગરપાલિકામાં 24 થી 30 કલાકમાં જ નાટકીય વળાંકો આવી રહ્યા છે. પાલિકાના બાંધકામ કમિટી ચેરમેન વિરૂધ્ધની દરખાસ્તમાં શંકાસ્પદ સહીઓનો ભાંડો ફૂટ્યો છે. ચેરમેન વિરૂધ્ધ પોતે ન હોવાનો દાવો કરતા બાંધકામ કમિટીના સભ્યોએ દરખાસ્ત ફાઇલે કરવા રજૂઆત કરી છે. કોંગી નગરસેવક હરદાસ આયરે છેતરીને અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરાવી લીધી હોવાનો ઘટસ્ફોટ સહીવાળા સભ્યોએ કરતા ખળભળાટ મચી ગયો છે.
પાટણ જીલ્લાની રાધનપુર પાલિકામાં કોંગ્રેસી નગરસેવકો વચ્ચે આંતરિક વિખવાદથી શરૂ થયેલુ નાટક બહાર આવ્યુ છે. પાલિકામાં બાંધકામ કમિટી ચેરમેન મીનાબેન મકવાણા વિરૂધ્ધ સોમવારે 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જોકે, ગણતરીના કલાકોમાં સહી કરનાર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ફાઇલે કરવા ચીફ ઓફીસરને રજૂઆત કરી છે. જેનાથી કોંગ્રેસી નગરસેવકો વચ્ચે ચેરમેનના સમર્થન અને વિરોધને લઇ ભાગ પડ્યા છે.
બાંધકામ કમિટીના બે સભ્યો હવે ચેરમેનની પડખે આવી ગયા છે. હરદાસ આયરે વિકાસનું કામ કરાવવાનું હોવાથી પત્ર વંચાવ્યા વિના ગેરમાર્ગે દોરી સહી કરાવી લીધી હોવાનું જાહેર કરતા વહીવટી અને રાજકીય હડકંપ મચી ગયો છે. અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરનાર 6 પૈકી 2 સભ્યો ચેરમેનની પડખે આવી જતા કોંગ્રેસી નગરસેવકોમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ જઇ રહી છે.