જોખમ@સુઇગામ: બે દિવસથી વીજપોલ ધ્વસ્ત, ખેડુતોને દુર્ઘટનાની સંભાવના
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેરને પગલે સંતોષકારક વરસાદ આવી ગયો છે. આ દરમ્યાન અનેક સ્થળોએ સરકારી સિસ્ટમની ક્ષતિઓ સામે આવી છે. જેમાં સુઇગામ પંથકમાં બે દિવસથી વીજપોલ ધરાશાયી થતા જોખમ બન્યુ છે. તાર સાથે વીજપોલ જમીન પર તુટી પડતા ખેડુતોને દુર્ઘટનાની સંભાવના સતાવી રહી છે. સમગ્ર મામલે વીજ કંપની દ્રારા જોખમ સામે પણ નજરઅંદાજ થયાના સવાલો બન્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદને પગલે મૂળભૂત સેવાઓમાં વિક્ષેપ થયો છે. સુઇગામ તાલુકાના સોનેથ ગામે બે દિવસ અગાઉ વરસાદ દરમ્યાન વીજપોલ ધરાશાયી થયો છે. સોનેથ ગામથી ગોપેશ્વર મહાદેવ જતી વીજલાઇનનો થાંભલો ધ્વસ્ત થતા વિધુતના તાર જમીન સાથે ટકરાયા છે. જેનાથી પસાર થતા રાહદારીઓ અને ખેડુતોને કરંટથી અકસ્માતની ભિતિ બની છે. વીજપોલ ધરાશાયી થતા આગળ જતો વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
ઘટનાની જાણ ગ્રામજનોને થતા સુઇગામ જીઇબી વિભાગમા ફોન કરી ગોપેશ્વરથી પસાર થતો વીજપ્રવાહ બંધ કરી દેવા જણાવ્યું હતુ. જોકે, પોલ પડ્યાને બે દીવસ થવા છતા યુજીવીસીએલની સુઇગામ વિભાગના કર્મચારીઓ દ્રારા જમીન પર પડેલા વીજપોલને ઉભો કરાયો નથી. આ સાથે વરસાદી માહોલમાં વીજતારથી કરંટ લાગવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.