ગંભીર@બનાસકાંઠાઃ મૃતપાય બનેલી કેનાલો માટે જવાબદારોની એકબીજા ઉપર ‘ખો’
અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ, વાવ, ભાભર, થરાદ તાલુકાના ખેડૂતોની જીવનદોરી સમાન ગણાતી કેનાલો છેલ્લા એક વર્ષથી સફાઈ માંગી રહી છે. જવાબદાર એજન્સીઓના ભરોષે કેનાલોની હાલત બદથી બદતર બની ગઈ હોવાનો ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે. તાજેતરમાં જ વાવ, થરાદના કોંગી ધારાસભ્યોએ ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી આપવા થરાદ નર્મદા વિભાગ કચેરીઓને તાળાં બંધી કરતાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું ન હોવાનું ચિત્રો પરથી સ્પષ્ટ થઈ આવે છે.
કેટલીક એજન્સીના માલિકો જણાવી રહ્યા છે કે અમારે વગર પેમેન્ટે કઈ રીતે કામ કરવું. સફાઈ, રિપેરિંગનું નર્મદા વિભાગના કેટલાક બની બેઠેલા અધિકારીઓ છેલ્લા એક વર્ષથી અમને જેતે કામગીરીનું બિલ પણ લખી ન આપતાં હોવાનો આક્ષેપ એજન્સીના માલિકો લગાવી રહ્યા છે. રાજ્યની ભાજપ સરકાર સબ સલામતના દાવા કરે છે ત્યારે અમુક એજન્સી સાથે કામગીરી કરતા ગેટમેનોનો પણ છેલ્લા 6 મહિનાથી પગાર ચુકવણીમાં ધાંધીયા થતા હોવાનો એજન્સી ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે.
આ બાબતે નર્મદા વિભાગના અધિકારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યું કે, અમે એજન્સીને ફોન ઉપર કહી કહીને થાક્યા પણ એજન્સીઓ તૈયારી બતાવતી નથી. હવે આવા પ્રશ્નોમાં ખેડૂતની હાલત સુડી વચ્ચે સુપારી જેવી બની છે. તો બીજી તરફ ખેડૂત આલમ માંગ કરી રહ્યો છે કે, તંત્ર જે-તે એજન્સીને કેનાલની કામગીરી માટે સત્વરે બિલ ચૂકવી આપે. જેથી મૃતપાય બનેલી કેનાલો જીવંત બને.