શ્રધ્ધા@શંખલપુરઃ માઈભક્તે માઁ બહુચરના ચરણોમાં 45 તોલા સોનાનો હાર અર્પણ કર્યો
અટલ સમાચાર, બહુચરાજી (ભુરાજી ઠાકોર)
યાત્રાધામ શંખલપુર સ્થિત 5200 વર્ષ પ્રાચીન બહુચર માતાજીના આધ્યસ્થાનકે મંગળવારના દેવદિવાળીના પવિત્ર દિવસે ચરોતર પંથકના એક માઇભક્તની માતાજી પાસે માંગેલી મનોકામના પૂર્ણ થઈ હતી. જેથી માતાજીના શ્રધ્ધારૂપી સાગરમાં ડૂબકી લગાવી ચુકેલા માઁ બહુચરના અનુયાયીએ રૂ.૨૧ લાખની કિંમતનો 45 તોલા સોનાનો હાર માતાજીના ચરણે અર્પણ કરી શ્રધ્ધાનો ધોધ વહાવ્યો હતો.
Video:
શંખલપુર ટોડા બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલના જણાવ્યા મુજબ ચરોતર ખેડા જિલ્લાના એનઆરઆઈ માઇભક્તે પુત્રના ધંધાકીય વિકાસ માટે મનોકામના રાખી હતી. જે શ્રધ્ધાનુસાર પૂર્ણ થતાં હરખરૂપે આજે દેવદિવાળીના દિવસે રૂ. ૨૧ લાખની કિંમતનો સોનાનો હાર બહુચર માતાજીને અર્પણ કર્યો હતો. આ સમયે ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ અને શ્રદ્ધાળુઓના બહુચર મૈયાના જયજયકારથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું. ગ્રામ વિકાસ સમિતિના કન્વીનર પરેશ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને દાતા પરિવારનું મંદિર દ્વારા બહુમાન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, કાર્તિકી પૂનમે મંદિરમાં સવારથી સાંજ સુધી શ્રદ્ધાળુઓની દર્શન માટે ભારે ભીડ જામી હતી. આજના દિવસે 25થી વધુ સંઘોએ મંદિરે ધજા અર્પણ કરી હતી. અને 10 હજારથી વધુ ભકતોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. દેવદિવાળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયાનો અંદાજ છે.