સામાજિક@મહેસાણાઃ રાજપૂત સમાજનું ભવ્ય ભવન ઉભું કરવા યુદ્ધના ધોરણે કવાયત
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા શહેરમાં સર્કીટ હાઉસ ખાતે શુક્રવારે મહેસાણા જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો સાથે મિટીંગ મળી હતી. જિલ્લામાં રાજપૂત સમાજનું ભવન નિર્માણ માટે ઉપસ્થિત થયેલ સમાજની અધ્યક્ષતા ગાંધીનગર ધારાસભ્ય ર્ડા.સી.જે.ચાવડા તેમજ રાજ્ય સરકારના બિન અનામત આયોગના ડાયરેક્ટર કરણસિંહ ચાવડાએ કરી હતી.
તમામ તાલુકાના આગેવાનો સાથે ગહન ચર્ચા-વિચારણા બાદ મહેસાણા બાયપાસ હાઈવે નજીક પ્રાઈમ લોકેશનની જગ્યા ખરીદી ભવન નિર્માણનું કામ આગળ ધપાવવા સમાજે નિર્ધાર કરી લીધો છે. ભવન નિર્માણ બાદ રાજપૂતના યુવાનો સહિત સમાજને પ્રગતિશીલ બનાવવાના કાર્યો હાથ ધરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં રાજપૂત સમાજનું ભવન બનાવવાના પ્રયત્નો મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના તમામ લોકોનો સહયોગ મેળવી સમાજને પડતી ખોટ પુરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જિલ્લામાં આવેલ દરેક ઘર સુધી પહોંચી દાતા, કાર્યકરો અને સમાજનો સહયોગ મેળવવા નિર્ધાર કરી દીધો છે.
શુક્રવારના રોજ મહેસાણા જિલ્લાના તમામ તાલુકાના આગેવાનોની હાજરીમાં ગુજરાતમાં રાજપૂત સમાજના ભામાશા ર્ડા.સી.જે.ચાવડા (ગાંધીનગર ધારાસભ્ય) તેમજ કરણસિંહ ચાવડા (ડાયરેક્ટર, બિન અનામત આયોગ-ગુજરાત રાજ્ય)ના હસ્તે પાલોદર ગામમાંથી પસાર થતા બાયપાસ હાઈવે નજીક ભવનની જગ્યા ખરીદી લેવામાં આવી હતી. આગામી સમયમાં નિર્માણાધિન થનાર ભવનમાં સમાજના શૈક્ષણિક, સામાજિક તેમજ વર્તમાન અને ભવિષ્યલક્ષી જેવા અનેકક્ષેત્રોમાં મદદરૂપ બનશે. આજ ભવનમાંથી સમાજને ગતિશીલ બનાવવાના કાર્યો કરવા એકસૂર ઉઠ્યો હતો.
આ પ્રસંગે ર્ડા.સી.જે.ચાવડા, કરણસિંહ ચાવડા, નટવરસિંહ પરમાર, વિજયસિંહ ચાવડા, દિલીપસિંહ જાડેજા, લક્ષ્મણસિંહ રાજપૂત (એન.જી.ન્યુઝ), જયદેવસિંહ ચાવડા સહિત તમામ ગામ-શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભવનના દરવાજેથી અધિકારી, ર્ડાક્ટરો બહાર આવશેઃ ર્ડા.સી.જે.ચાવડા
કાર્યક્રમ દરમિયાન ર્ડા.સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમાજના યુથને આગળ ધપાવવા ભવનની તાતી જરૂરીયાત પડી રહી છે. આ ભવનમાં સામાજિક કાર્યો, પ્રસંગો જેવા કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. પરંતુ સૌથી વધુ ફાયદો મહેસાણા જિલ્લાના રાજપૂત યુવાનો માટે થશે. આ ભવનના દરવાજેથી આપણે દિકરા-દિકરીઓને શિક્ષણનું માધ્યમ સમજાવી અધિકારી, ર્ડાક્ટરો પેદા કરવાના છે. ઉપરાંત આર્મી, સરકારી ભરતી, ટ્રેનીંગ માટે ગુજરાતભરમાંથી મહેસાણા આવતા સમાજબંધુઓ માટે શહેરની નજીકમાં જ બનનાર ભવન અનેક રીતે લાભદાયી બની રહેશે. ખોટા ખર્ચા ઓછા કરી આવા કાર્યો તરફ પ્રેરણા મેળવવા સમાજને અપીલ કરી હતી.
જિલ્લાના દરેક ઘરના રાજપૂતની મુલાકાત કરાશેઃ કરણસિંહ ચાવડા
આ પ્રસંગે કરણસિંહ ચાવડાએ ઉપસ્થિત આગેવાનોને જણાવ્યું હતું કે, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રના કેંદ્ર બિંદુ સમાન તથા રાજા મેસાજી ચાવડા દ્વારા સ્થાપિત મહેસાણા નગરમાં રાજપૂત સમાજના ભવન નિર્માણની દિશામાં આજનો દિવસ ઐતિહાસિક ગણાશે. પહેલી જ મિટીંગમાં 1 વિઘા જમીન મેળવવી તે દર્શાવે છે કે આપણે ધારીએ તે બધુ જ કરી શકીએ છીએ. ભવન નિર્માણ માટે જિલ્લામાં આવેલ તમામ તાલુકા, ગામ અને તેમાં પણ એક-એક સમાજના ઘરની મુલાકાત કરી સહયોગી બનવા અપીલ કરવામાં આવશે. ભવન નિર્માણના આ ભગીરથ કાર્યથી સમાજને ખૂબ લાભ મળવાની વાત કરી હતી. તે સાથે બિન અનામત નિગમની વિવિધ યોજનાઓ તથા સાંપ્રત સ્થિતિ અને પરિસ્થિતિની પણ ચર્ચાઓ કરી હતી.