સ્પેશ્યલ@રિપોર્ટ: રાધનપુર-થરાદમાં શંકર ચૌધરીના સમર્થકો બાજી પલટી શકે
અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતમાં ચાર વિધાનસભા બેઠકોની ચુંટણીમાં રાધનપુર અને થરાદ વિશેષ મહત્વની બની ગઈ છે. બન્ને બેઠકો પૈકી એકમાં શંકર ચૌધરીને ટિકીટ મળવાની સંભાવના છેલ્લી ઘડીએ હાંસીયામાં ધકેલાઈ ગઈ હતી. આથી તેમના સમર્થકો રાધનપુર અને થરાદ બેઠક ઉપર ચુંટણીને લઈ ચોક્કસ માનસિકતા બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ માટે હારજીતમાં મોટી ભૂમિકા ભજવી જશે.
રાધનપુર વિધાનસભા બેઠક ઉપર શંકર ચૌધરીના સમર્થકો આજે વિવિધ મનોમંથનમાં લાગ્યા છે. શંકર ચૌધરીને ટિકીટ નહી મળતા ભલે ભાજપથી છેડો નથી ફાડ્યો પરંતુ નારાજ બની રણનીતિક કામગીરીમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોરને સમર્થન કરવું કે નહી તેને લઈ શંકર ચૌધરીના સમર્થકો વિચારમાં હોઈ બેઠક ઉપર હાર-જીતમાં મોટી ઉથલ-પાથલ મચાવી શકે છે.
બનાસ બેંક અને ડેરીના સુકાની શંકર ચૌધરી થરાદ બેઠકના ઉમેદવાર બની શકે તેવી ધારણા નિષ્ફળ જતા સમર્થકોને ધ્રાસકો લાગ્યો છે. થરાદ વિધાનસભા બેઠક ઉપર શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલના સમર્થકો ઉમેદવાર પસંદગી બાદ ચોક્કસ દિશા નક્કી કરવા જઈ રહ્યા છે. બન્ને પ્રકારના સમર્થકો ભાજપ અને કોંગ્રેસ માટે ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર બેઠક ઉપર અલ્પેશ ઠાકોરને શંકર ચૌધરીના સમર્થકોનો સહકાર મળશે કે કેમ? આ સવાલ સ્થાનિક ભાજપી આગેવાનોને મૂંઝવી રહ્યો છે. આ તરફ થરાદ બેઠક ઉપર પણ શૈલેષ પટેલ અને શંકર ચૌધરીના કટ્ટર સમર્થકો કોંગ્રેસ માટે ફાયદાકારક થશે કે કેમ? આ સવાલથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધી ગયો છે.