નિવેદન@દેશ: કોરોનાનો નવો સ્ટ્રેઇન, 6 કેસ વચ્ચે આરોગ્ય મંત્રાલયે કહ્યું ડરવાની જરૂર નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનની ભારતમાં આધિકારિક એન્ટ્રી થઈ ગઈ છે અને લેટેસ્ટ માહિતી પ્રમાણે તેના હાલમાં 6 કેસ નોંધાયા છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે તેને લઈને નિવેદન આપ્યું જેમાં કહેવાયું છે કે, હાલમાં આ નવા સ્ટ્રેઇનને લઈને લોકોને ગભરાવવાની જરૂર નથી. સાથે જ એમ પણ જણાવ્યું છે કે, વેક્સિન આ નવા સ્ટ્રેઇન પર પણ અસરકારક રહેશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સરકારના પ્રિન્સિપલ સાઇન્ટિફિક એડવાઈજર વિજય રાઘવને એક પ્રેસ કૉંફરેન્સમાં કહ્યું છે કે, વેક્સિન દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાંથી મળેલા નવા સ્ટ્રેઇન સામે પણ અસરકારક રહેશે, તેના બિનઅસરકારક રહેવાના હજુ સુધી કોઈ સાક્ષ્ય મળ્યા નથી. સાથે જ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે અમારી પ્રયોગશાળાઓમાં લગભગ 5000 જેટલા જીનોમ વિકસિત કરવામાં આવ્યા છે અને હવે તે સંખ્યામાં અમે ઘણી વૃદ્ધિ કરીશું.
આ સાથે જ નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે જણાવ્યું હતું કે આ નવા સ્ટ્રેઇને ઘણા દેશોની યાત્રા કરી છે માટે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે વાયરસના પ્રસારને દબાવવું આસાન છે કેમ કે તેની ટ્રાન્સમિશન ચેઇન નાની છે. મહત્વનું છે કે ભારતમાં હાલમાં વેક્સિનેશનની તૈયારીઓ ખૂબ જ મોટાપાયે ચાલી રહી છે ત્યારે આ નવા સ્ટ્રેઇનને લઈને કેસ સામે આવતા સરકાર તરફથી આ પ્રકારના નિવેદનો સામે આવ્યા હતા. મહત્વનું છે કે હાલમાં દેશમાં કોવિડના કેસો ઘટી રહ્યા છે અને તેની દૈનિક સરેરાશ ઘટીને હવે 17000 જેટલી રહી ગઈ છે.