રજૂઆત@મહેસાણા: ઠરાવને યથાવત રાખવા સવર્ણ સમાજ એકમંચ ઉપર
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જીલ્લાના પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજ સહિતના નાગરિકો આજે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. રાજ્ય સરકારના ભરતી બાબતના ઠરાવને યથાવત રખાવવા એકમંચ ઉપર આવી વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જેમાં ઠરાવ રદ્દ કરવા બાબતે એસ.સી., એસ.ટી, તથા ઓ.બી.સી વર્ગના લોકો મહીલાઓને સમાવેશ કરવાની તદ્દન ખોટી માંગણી કરી રહ્યા છે. આથી સરકાર ખોટા દબાણમાં આવી પોતાનો નિર્ણય ન બદલે તેવી માંગણી અને લાગણી હોવાનું જણાવ્યુ હતુ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લા કલેક્ટર કચેરીએ સવર્ણ સમાજના આગેવાનો અને વિવિધ ગ્રુપના રજૂઆતકારો પહોંચ્યા હતા. જેમાં એલ.આર.ડીની ભરતી પ્રક્રિયામાં બિન અનામત વર્ગના લોકોને અન્યાય ન થાય તે બાબતે અગાઉનો તા-1-8-2018નો પરીપત્ર જ ધ્યાને લેવા રજૂઆત કરી છે. સામાન્ય વહીવટ વિભાગનો તા-1-6-2018 ઠરાવ ક્રમાંક સીઆરઆર 1096-2213 ગ.2 અન્વયે મહિલા બાબતે સામાન્ય સંવર્ગની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની પસંદગી કરવાની રહે છે. જેને ધ્યાને લઇ મહિલા સામાન્ય સંવર્ગના ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી કરવાની રહે છે. જેનાથી બીજી કોઇ જાતિ કે વર્ગને કોઇપણ પ્રકારનું નુકશાન થતુ નથી.
રજૂઆતકર્તાઓએ જણાવ્યુ હતુ કે, કેટલાક જાતીવાદી કહેવાતા નેતાઓ અને લોકો સમગ્ર બાબતે સરકાર ઉપર તદ્દન ખોટું અને બેજવાબદાર દબાણ લાવી રહ્યા છે. જેથી કરીને ગુજરાત સરકાર પોતાના આ નિર્ણય ઉપરથી ફરી જાય અને તેનાથી એલઆરડી ભરતીમાં આ સિવાયના બીજા વર્ગના અનામત વર્ગ એસ.સી., એસ.ટી, તથા ઓ.બી.સી વર્ગના મહીલાઓનો સમાવેશ કરવાની તદ્દન ખોટી માંગણી ફળીભૂત થાય. આથી હાઇકોર્ટના આદેશને પગલે તૈયાર કરેલ ઠરાવને યથાવત રાખવા માંગ કરી છે.