સુરતઃ સંક્રમિત વ્યક્તિએ મુલાકાત લીધેલ સ્થળને 48 કલાક માટે બંધ કરાશે
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં કોરોનાના વધતા જતા કેસને લઈ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોરોના પોઝિટિવ વ્યક્તિએ વિઝીટ કરી હોય તે સ્થળ 48 કલાક માટે બંધ કરાશે. એટલું જ નહિ તે સ્થળ ડિસઇન્ફેક્શન કરવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એસએમસીનું તંત્ર વધુ સતર્ક બન્યું છે અને સુપર સ્પ્રેડર્સની શોધખોળ વધુ ઝડપી ગતિથી કરવામાં આવી છે. જેમાં માત્ર 5 દિવસમાં 43 સુપર સ્પ્રેડર્સને શોધી કઢાયા છે. સુપર સ્પ્રેડર્સને શોધવા માટે મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત દૂધ વિક્રેતા અને ડેરીમાં ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અલગ અલગ 8 ઝોનમાં ડેરીના માલિક અને કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મનપાની ટીમને આ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાનમાં માત્ર 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે. આ સાથે જ પાન ગલ્લા અને ચાવાળાના 855 ટેસ્ટિંગ કરાયા હતા, જેમાં તેઓને 7 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. વળી સલૂન અને ઓટોગેરેજમાં પણ મનપાની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેના પરિણામે સલૂનમાં 650 ટેસ્ટ પૈકી 1 પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ પૈકી 8 પોઝિટિવ મળી આવ્યા હતા.