દુર્ઘટના@અમીરગઢ: નદીમાં ન્હાવા પડેલા 2 યુવકો ડૂબી જતાં મોત, પરિવાર શોકમગ્ન
અટલ સમાચાર, અમીરગઢ
કોરોના મહામારી વચ્ચે આજે બપોરે અમીરગઢ નજીક ન્હાવા પડેલા બે આશાસ્પદ યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિત મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકો પાલનપુરના હોવાનું સામે આવ્યુ છે. આ પરિવાર પિકનિક મનાવવા અમીરગઢની બનાસનદીમાં ગયો હતો. જ્યાં આ દુર્ઘટના ઘટતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ મામલતદાર કચેરી પાછળના વ્હોળામાં ન્હાવા પડેલા બે યુવકોના મોત થયા છે. પાલનપુરનો મુસ્લિમ પરિવાર આજે પિકનિક મનાવવા અમીરગઢની બનાસનદીમાં ગયો હતો. જ્યાં આ બંને યુવકો ન્હાવા પડ્યા બાદ અચાનક ડૂબી જતાં તેમના મોત થયા હતા. ઘટનાને લઇ સ્થાનિક તરવૈયાઓની મદદથી બે કલાકની ભારે જહેમતને અંતે બંનેના મૃતદેહ બહાર નિકાળવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે પિકનિક મનાવવા ગયેલા પરિવારના બે યુવકોના મોતથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, બંને મૃતકો પિતરાઇ ભાઇ હતા. જેમાંથી એક યુવકના પંદર દિવસ પહેલા જ લગ્ન થયા હોવાનું સામે આવ્યુ છે. આ તરફ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને અમીરગઢ સરકારી દવાખાનામાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.