દુર્ઘટના@ચાણસ્મા: અજાણ્યાં વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવકનું મોત, પરિજનોમાં શોક
અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી
ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ગઇકાલે રાત્રે અજાણ્યાં વાહનચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતા. આ તરફ 108ના ચાલકે પોલીસને જાણ કરતાં તાત્કાલિક PSI સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે હોસ્પિટલમાં ખસેડી હતી. આ તરફ આજે સવારે મૃતકની ઓળખ તથા પ્રાથમિક તપાસમાં તે મહેસાણાના નાગલપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ નજીક ગઇકાલે રાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. ગતરાત્રે અંદાજે 8 વાગ્યા આસપાસ પેટ્રોલપંપ નજીકથી એક યુવક એક્ટિવા લઇ પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન અજાણ્યાં વાહનચાલકે તેને ટક્કર મારતાં યુવક નીચે પડી જતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના PSI દીલીપકુમાર ચૌધરી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે લણવા સિવીલમાં મોકલી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચાણસ્મા પોલીસે અકસ્માતની ઘટનામાં મૃતક યુવકની ઓળખવિધી કરવા તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતાં ઓનલાઇન જેનું નામ બોલતું હતુ તેમને પોલીસે ફોન કર્યો હતો. આ દરમ્યાન તેમને કહેલ કે, આ એક્ટિવા અમોએ છએક વર્ષ પહેલાં વેચાણ કર્યુ છે. જેથી PSI ચૌધરીની ટીમે મૃતકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ રાખ્યાં હતા. જે બાદમાં આજે સવારે મૃતકના વાલીવારસો મળી આવ્યાં હોવાનું સામે આવતાં મૃતક ઇસમ મૂળ હારીજના વાંસા ગામના અને હાલ મહેસાણાના નાગલપુરમાં રહેતાં દિનેશભાઇ સંપતભાઈ દેવીપૂજક હોવાનું સામે આવ્યુ છે.
PSIએ નોંધાવી અજાણ્યાં ઇસમ સામે ફરીયાદ
ચાણસ્મા પોલીસ સ્ટેશનના PSI દીલીપકુમાર ચૌધરીએ ઘટનાસ્થળે પહોંચ્યાં બાદ ઓળખવિધિ કરવા તપાસ શરૂ કરી હતી. જોકે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતાં PSIએ અજાણ્યાં ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ચાણસ્મા પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે આઇપીસી કલમ 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 184, 187, 134, 177 મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.