દુર્ઘટના@ઇડર: કારની ટક્કરે ઘાયલ યુવકનું મોત, એક સારવાર હેઠળ
અટલ સમાચાર, ઇડર
કોરોના ત્રાસ વચ્ચે ઇડરમાં ગઇકાલે સર્જાયેલ માર્ગ અકસ્માતની ઘટનામાં આજે એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે ઇડર કોર્ટના કર્મચારીની કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બે બાઇકચાલકને ઇજાઓ પહોંચી હતી. જોકે બાઇકચાલકની હાલત વધુ ગંભીર હોઇ પહેલા સિવિલ અને બાદમાં અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આજે સવારે અમદાવાદમાં સારવાર દરમ્યાન આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લાના ઇડરના બરેલા તળાવ પાસે ગઇકાલે કારચાલકે બે બાઇક અને એક રાહદારીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઇડર કોર્ટમાં રજીસ્ટ્રાર કમ નાજીર તરીકે ફરજ બજાવતાં મુકુન્દ ચૌહાણ પોતાની કાર લઇ પસાર થતાં હતા. આ દરમ્યાન તેમને બે બાઇકચાલક અને એક રાહદારીને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં ઇડર તાલુકાના અંકાલ ગામના રણછોડજી શંકરજી ઠાકરડા સહિત બાઇકચાલક ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પહેલા સિવિલ અને બાદમાં અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આજે વહેલી સવારે ગંભીર ઇજાઓને કારણે રણછોડજી શંકરજી ઠાકરડાનું સારવાર દરમ્યાન મોત થયાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.