દુર્ઘટના@ગુજરાત: રાધનપુર-સામખીયાળી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે આજે રાધનપુર-સામખિયાળી હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ સહિત ત્રણ સભ્યોનાં મોત થયાનું સામે આવ્યુ છે. સામખયારી-રાધનપુર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાધનપુર-સામખિયાળી હાઇવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. ગોદર ધાણીથર હાઇવે રોડ પર આવેલા હાઇવે પર ઉભેલી ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોરબી રહેતા પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં છે. સ્વીફટ કારમાં સવાર મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને જયંતિભાઈ મોતીરામ મહેશ્વરી (મહેશ્વરી મેડી. & જનરલ સ્ટોર્સ) તેમજ તેમના પત્ની રેખાબેન જયંતિભાઈ મહેશ્વરીનું દુર્ઘટનામાં કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે લગભગ દરરોજ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આજે વહેલી સવારે મોરબીના કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટાભાઈ સહિત ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યોના મોતથી મહેશ્વરી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘટનાને લઇ આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
- જયંતીભાઈ મોતીરામ મહેશ્વરી, કેલા
- રેખાબેન જયંતિભાઈ મહેશ્વરી, કેલા
- લજપતરાય મોતીરામ મહેશ્વરી, કેલા