દુર્ઘટના@મુંબઈ: 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10ના મોત, અનેક ફસાયા
અટલ સમાચાર, ડેસ્ક
મુંબઈની નજીકમાં આવેલા ભિવંડીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. દુર્ઘટના સોમવાર સવારની છે. કાટમાળમાં 35થી 40 લોકો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફ (NDRF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલા બાકી 25 લોકો માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
થાણે નગર નિગમના પીઆરઓએ જણાવ્યું કે, કાટમાળમાંથી 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. બાકી લોકોની શોધખોળ ચાલી રહી છે. થાણે નગર નિગમના પીઆરઓ મુજબ, આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતું. તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ કેટલાક લોકો અહીંથી જતા રહ્યા હતા, પરંતુ કેટલાક લોકો અહીં રહી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, મુંબઈમાં થોડા દિવસોમાં ભારે વરસાદના કારણે બિલ્ડિંગ નબળી થઈ ચૂકી હતી. આ બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું છે. નોંધનીય છે કે, ગત મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. દુર્ઘટનામાં 50 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બિલ્ડિંગ માત્ર 10 વર્ષ જૂની હતી.